આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન

ડો મનોજ એન. પંડ્યા

મહિલા આર્ટસ કોલેજ – ઉના

સામાજિક પરિવર્તન દરેક સમાજની એક સહજ પ્રક્રિયા છે. તેથી  કોઈ પણ સમાજના યથાર્થ અભ્યાસમાં સમાજશાસ્ત્રીઓ સામાજિક પરિવર્તનને સમજવા પર વધુ ધ્યાન આપે છે. સામાજિક સંબંધો, સામાજિક સંસ્થાઓ અને સમગ્રપણે કહીએ તો સમાજ રચના ઉપર વિભિન્ન પરિબળોની અસર થાય છે. અને આ પરિબળો સમાજમાં પરિવર્તન નીપજાવે છે. આમ સામાજિક પરિવર્તન માનવ સમાજમાં જોવા મળતી એક સાર્વત્રિક અને સહજ પ્રક્રિયા છે.

સમાજ ક્ષણે ક્ષણે બદલાતો રહે છે. અને પરિવર્તન એ જ વાસ્તવિકતા છે. અન્ય કેટલાક વિદ્વાનોએ પણ સામાજિક પરિવર્તનનો અર્થ અને વ્યાખ્યા આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં કિંગ્સલે ડેવિસ નોંધે છે કે સામાજિક સંગઠનમાં એટલે કે સમાજની રચના અને કાર્યમાં થતા ફેરફારો એટલે સામાજિક પરિવર્તન. મેકાઈવર અને પેજ ના મતે સામાજિક સંબંધોના ગુફનમાં થતા ફેરફારો એટલે સામાજિક પરિવર્તન. જ્યારે અમેરિકન સમાજશાસ્ત્રી જોહન્સન  નોંધે છે કે સામાજિક રચનાતંત્રમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન.

આધુનિક સમયમાં સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના સાધનોમાં જે ક્રાંતિ થઈ છે તેને પરિણામે દુનિયા જાણે નાની બની ગઈ છે. રોજ સવારે દુનિયાના વિવિધ ભાગોમાંથી આવતા અવનવા સમાચારોની આપણને જાણ થાય છે. અમેરિકન અવકાશયાત્રીઓ અનેક ગ્રહો પર પહોંચે, સુનિતા વિલિયમ્સ નાસામાં ક્યારે પાછા આવશે? રશિયા અને યુક્રેન વચ્ચે ક્યારેય સમાધાન થશે? બાંગ્લાદેશમાં ક્યારે શાંતિ થશે? આવા અનેક સમાચારો સમગ્ર દિવસ દરમિયાન આપણને મળતા રહે છે. આ ઉપરાંત અવારનવાર આવતા હાર્ટ એટેકના બનાવો, આત્મહત્યા, ખૂન – બળાત્કાર અને લૂંટફાટના સમાચારો જાણીને આપણને કદાચ એમ લાગે છે કે આજનો માનવસમાજ સતત કટોકટીની વિસ્ફોટક પરિસ્થિતિમાંજ જીવી રહ્યો છે. જો કોઈ એવી દલીલ કરે કે ઐતિહાસિક દ્રષ્ટિએ જોતા માનવ સમાજ હંમેશા આવી કટોકટી ભરી પરિસ્થિતિમાંથી જ પસાર થતો રહ્યો છે તો એવી દલીલ કોઈને મૂર્ખાઈ પૂર્ણ લાગવાનો સંભવ છે. પરિવર્તન એ સતત ચાલતી પ્રક્રિયા હોવા છતાં આધુનિક સમાજમાં એની તેજ ગતિને કારણે જાણે કે એક જાતની અરાજકતાની  પ્રવૃત્તિ હોય એવો આભાસ આપણા મનમાં ઊભો થાય છે. આપણે જ્યારે છેલ્લા બે દાયકાઓ દરમિયાન થયેલા પરિવર્તનનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે એટલું તો કબુલું જ પડશે કે આ સમય દરમિયાન માનવસમાજમાં ભારે પરિવર્તનો આવ્યા છે.

    બ્રિટિશ યુગ દરમિયાન ઉદ્ભવેલ ઉદ્ભવેલા સામાજિક પરિવર્તન લાવતા પરિબળો અને પ્રક્રિયાઓ સ્વતંત્ર ભારતમાં પણ વધુ વિસ્તૃત, વ્યાપક, ઝડપી અને હેતુપૂર્વક તથા ધ્યેયલક્ષી બન્યા. તથા કેટલાક નવા પરિબળો અને પ્રક્રિયાઓ ઉદભવ વિકાસ પામ્યા. જેથી  આધુનિક સમયમાં ભારતીય સમાજમાં ઘણા પરિવર્તનો આપણે જોઈ શકીએ છીએ. જે નીચેની ચર્ચા પરથી જાણી શકાશે.

(1)  જ્ઞાતિ સંસ્થામાં પરિવર્તન:-

     સ્વતંત્ર ભારતમાં જ્ઞાતિ સંસ્થામાં પરિવર્તનની પ્રક્રિયા ઝડપી બની છે. પરિવર્તનના પરિબળો અને પ્રક્રિયાઓની સક્રિયતા વધતા આધુનિક સમયમાં પરિવર્તનની ઝડપ અને દરમાં વધારો થયો છે. અને જ્ઞાતિનાં અનેકવિધ પાસામાં નીચેના પરિવર્તનો દૃષ્ટિગોચર થવા લાગ્યા છે.

જ્ઞાતિ પંચાયત બદલાઈ છે. જ્ઞાતિ પંચાયત તેનું પરંપરાગત મહત્વ ગુમાવી રહી છે. તેમનું કાર્યક્ષેત્ર બદલાયું છે. જ્ઞાતિની આંતરિક એકતા મજબૂત બનાવવા માટે કલ્યાણ પ્રવૃત્તિઓ તરફ જ્ઞાતિપંચો વધારે ઢળી રહ્યા છે. એક સમયે જે જ્ઞાતિપંચો સજા આપવાનું કામ કરતા હતા તે આજે પોતાના જ્ઞાતિજનોનું સન્માન કરે છે. લગ્નના મેળાવડા યોજે છે. સામૂહિક જ્ઞાતિ ભોજન ગોઠવે છે.

જ્ઞાતિના કોટીક્રમિક માળખામાં પણ પરિવર્તન આવ્યું છે. બ્રાહ્મણોની સર્વોપરીતા અને પુરોહિતવાદને બિનસાંપ્રદાયિક વિચારસરણીએ જોરદાર ફટકો માર્યો છે. તો બીજી બાજુ જ્ઞાતિ પ્રથામાં સૌથી નીચું સ્થાન ભોગવતી અસ્પૃશ્ય અને શુદ્ર જ્ઞાતિઓને વિશેષ અધિકારો મળ્યા છે. તથા રાજ્યની નોકરીમાં અનામતનો પૂરો લાભ મેળવી નિમ્ન જ્ઞાતિઓનું સામાજિક અને આર્થિક સ્થાન ઊંચું આવ્યું છે. બીજી કેટલીક અન્ય જ્ઞાતિઓ પણ સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણની અસર હેઠળ પોતાનો રૂઢિગત દરજ્જો બદલ્યો છે.

ખાનપાનના સંબંધો અંગેનો પરંપરાગત દ્રષ્ટિકોણ વર્તમાન સમયમાં બદલાયો છે. અવરજવરના સાધનોના કારણે વધેલું સ્થળાંતર, શહેરોમાં જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે વધેલા સંપર્કો, મિલો- કારખાના ઉદ્યોગ અને વ્યવસાયિક કેન્દ્રોમાં જુદી જુદી જ્ઞાતિના લોકોના સહભોજનો વગેરે બાબતો ખાનપાનના સંબંધોમાં આવેલા પરિવર્તનો બતાવે છે. ઉદ્યોગીકરણ અને શહેરીકરણના લીધે ખાનપાનના પરંપરાગત ધોરણો આજે ટકીશ શકે તેમ નથી.

આંતર જ્ઞાતિએ લગ્ન પ્રત્યે સહિષ્ણુતા વધવા લાગી છે. પહેલા અનુલોમ કે પ્રતિલોમ લગ્નને ગેરકાયદેસર અને ગંભીર ગણવામાં આવતું હવે આંતરજ્ઞાતિય લગ્ન પ્રત્યે સહિષ્ણોતા વધતી જાય છે. સહશિક્ષણ, વ્યવસાયિક સ્થળોમાં સંપર્કો, અપડાઉનમાં થતા સંપર્કો વગેરેને કારણે આંતરજ્ઞાતિય લગ્નનું પ્રમાણ પણ વધતું જાય છે.

યજમાનાની વ્યવસ્થામાં કરારના તત્વો પ્રવેશ્યા છે. એક જ્ઞાતિએ અન્ય જ્ઞાતિઓને આપેલી સેવાના બદલામાં બજાર કિંમતના ધોરણે હવે રોકડ રકમ લેવામાં આવે છે. વસ્તુ વિનિમય બંધ થયો છે. બજાર કિંમતના ધોરણે રોકડ મૂલ્ય લેવાની પ્રથા શરૂ થતા યજમાન પરિજન વચ્ચેના સંબંધોને બદલે કરારી સંબંધો વિકસ્યા છે. અને આજના સમયમાં પરંપરાગત વ્યવસાયો પણ બંધ થયાં છે.

અસ્પૃશ્યતાનીની ઢબમાં પણ પરિવર્તન આવ્યું છે. પડછાયાથી આભડછેટ લાગે એવો ખ્યાલ લગભગ અદ્રશ્ય થયો છે. શાળા પ્રવેશ, ઘરેણા નો ઉપયોગ, નવા કપડાં વગેરે બાબતોની નિયોગ્યતાઓ નાબૂદ થઈ ગઈ છે. મંદિર પ્રવેશ, કુવાનો ઉપયોગ, જાહેર સ્થળોમાં અલગ બેઠકો વગેરે નિયોગ્યતાઓ ધીમે ધીમે ગ્રામીણ વિસ્તારોમાંથી પણ નાબૂદ થઈ છે

વ્યવસાયની મુક્ત પસંદગી પરના નિયંત્રણો દૂર થયા છે. ઉદ્યોગીકરણ અને શહેરીકરણના લીધે જ્ઞાતિના રૂઢિગત વ્યવસાયો બદલાયા છે. નવું આધુનિક અને વ્યવસાયલક્ષી શિક્ષણ દરેક જ્ઞાતિના લોકો મેળવે છે. અને સરકારી- ખાનગી કે અન્ય ઉદ્યોગોમાં પોતાના કૌશલ્ય પ્રમાણે નવા આધુનિક વ્યવસાયોમાં બધી જ્ઞાતિના લોકો જોવા મળે છે.

જ્ઞાતિ પરિવર્તનના આધુનિક પ્રવાહો પણ બદલાતા જાય છે. જ્ઞાતિની આડી સંગઠિતતા પણ વધે છે. કેટલીક જગ્યાએ વર્તનના દ્વિમુખી ધોરણો પણ જોવા મળે છે. રાષ્ટ્રવાદની જગ્યાએ જ્ઞાતિવાદનું સ્વરૂપ તીવ્ર ગતિએ વધ્યું છે. અને જ્ઞાતિઓમાં વર્ગ સ્તરરચનાનો  ઉદભવ જોવા મળે છે. રાજકીય જીવનમાં પણ જ્ઞાતિ રાજકારણ ઉદભવ્યું છે જ્ઞાતિ વ્યવસ્થામાં જ્ઞાતિવાદ વિકસ્યો છે. જ્ઞાતિઓમાં પણ સ્પર્ધા અને સંઘર્ષ વધ્યા છે. બહુસંખ્યક જ્ઞાતિઓ પ્રભાવી જ્ઞાતિ બનવા લાગી છે. નિમ્ન જ્ઞાતિઓનું સંસ્કૃતિકરણ અને ઉચ્ચ જ્ઞાતિઓનું પશ્ચિમીકરણ તીવ્ર ગતિએ થાય છે. નબળા વર્ગની જ્ઞાતિઓનું સશક્તિકરણ થઈ રહ્યું છે. જ્ઞાતિઓમાં વર્ગ સ્તરરચના વિકસે છે. આ વર્તમાન સમયમાં જ્ઞાતિ વ્યવસ્થાની વાસ્તવિકતા છે.

(2) કુટુંબ સંસ્થામાં પરિવર્તન

કુટુંબ સંસ્થામાં પરિવર્તન એટલે કુટુંબની રચના અને કાર્યમાં આવતું પરિવર્તન. કુટુંબના કદ, બંધારણ, સંયુક્તતા અને સભ્યો વચ્ચેના સંબંધોમાં થતા ફેરફારોને કુટુંબ સંસ્થામાં આવેલું પરિવર્તન કહેવાય.

   આધુનિક ભારતમાં ઉદ્યોગીકરણ, શહેરીકરણ, શિક્ષણ, સ્વાતંત્ર ચળવળ, ભારતનું સંવિધાન, સામાજિક કાયદા, આયોજિત વિકાસના કાર્યક્રમો, વાહન વ્યવહાર અને સંચાર સાધનો, સ્વૈચ્છિક સંગઠનો વગેરે પરિબળોનો ઉદભવ – વિકાસ થવાથી ભારતીય સમાજના કુટુંબ વ્યવસ્થા ઉપર તેની વ્યાપક અને ઘેરી અસરો થવા પામે છે. જે નીચે મુજબ છે

સંયુક્ત કુટુંબનું કદ નાનું બનતું જાય છે. રૂઢિગત સંયુક્ત કુટુંબ ત્રણ -ચાર કે તેથી વધુ પેઢીના રક્ત સંબંધીઓના બનેલા હતા. આવું કુટુંબ સહનિવાસ, સંયુક્ત રસોડું, સહ ભોજન, સંયુક્ત મિલકત અને સંયુક્ત આવકના લક્ષણો ધરાવતું હતું. જ્યારે વર્તમાન સમયમાં વિભક્ત કુટુંબોનું પ્રભુત્વ વધ્યું છે. પ્રમાણ પણ વધે છે. આને વર્તમાન સમયની જરૂરિયાત તરીકે પણ જોઈ શકાય છે.

સંયુક્ત કુટુંબના સભ્યો વચ્ચેના અંતર સંબંધોમાં પણ પરિવર્તન આવ્યા છે. જેમ કે વયક્તિક જવાબદારીઓનું ક્ષેત્રફળ હવે મર્યાદિત બનતું જાય છે. દૂરના સગાઓ ઓછા મહત્વના બનતા જાય છે. નજીકના સગાઓ સાથેના સંબંધોમાં પણ ક્યાંક નબળાઈ આવી હોય એવું જોવા મળે છે. અને પ્રેક્ટીકલી બધા એકબીજા સાથે એડજેસ્ટ થતા હોય અને કુટુંબ વ્યવસ્થા ચાલતી હોય તેવું આધુનિક સમયમાં જોવા મળે છે.

રૂઢિગત સત્તાના માળખામાં પણ પરિવર્તન આવ્યું છે. પતિ પત્ની વચ્ચેના સંબંધો વર્તમાન સમયમાં બદલાયા છે. જેમાં સત્તા અને તાબેદારીનું પ્રમાણ ઘટ્યું છે. આ સંબંધો મિત્રતાના બનતા જાય છે. સ્ત્રીઓ પણ ઘરની ચાર દીવાલો છોડી સ્વતંત્રતાથી વ્યવસાયની પ્રવૃત્તિમાં પણ જોડાય છે. પડદા પ્રથા જવા માંડી છે. અને પુરુષ જ સ્ત્રીઓને પડદામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. આધુનિક સમયમાં પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં નિકટતા અને સંપર્ક વધેલા જોવા મળે છે. સમાનતાવાદી મૂલ્યોનો સ્વીકાર થયેલો જોવા મળે છે. બાળકોના ઉછેરમાં ઘણીવાર બંનેની સમાન ભૂમિકા જોવા મળે છે.

માબાપ અને સંતાનો વચ્ચેના સંબંધોમાં પરિવર્તન આવે છે. અહીં પણ મા બાપ અને સંતાનો વચ્ચેના સત્તા અને તાબેદારીના સંબંધો હવે મિત્રતાના સંબંધોમાં પરિણમે છે. સંતાનો પ્રત્યે માતા પિતાનું કડક વલણ ઘણું બદલાઇ રહેલું જોવા મળે છે. મા બાપ સંતાનો પ્રત્યે વધુ ઉદાર, સહિષ્ણુ અને સહાનુભૂતિ પૂર્ણ વર્તન દાખવતા થાય છે. ઘરની દરેક વસ્તુમાં સંતાનોનો અભિપ્રાય સ્વીકારાતો જાય છે.

આંતર પેઢી અંતર વધતું જાય છે. એટલે કે બે પેઢી વચ્ચેનું અંતર જોવા મળે છે. જૂની પેઢી નવી પેઢીને પોતાની સંસ્કૃતિ મુજબ સંપૂર્ણ ઘડતર કરી શકતી નથી. અને દરેક પેઢી પરંપરાગત સંસ્કૃતિના કેટલાક તત્વો અપનાવે છે અને કેટલાક છોડી દે છે. નવી પેઢી નવી સંસ્કૃતિના તત્વો વિશેષ અપનાવે છે. તે વિશેષ પરિવર્તનવાદી અને નવીનતાની આગ્રહી હોય છે. બે પેઢીઓ વચ્ચે માન્યતાઓ, વિચારો અને વર્તનોનું અંતર પેદા કરવામાં પરિવર્તન પાયાનો ભાગ ભજવે છે. જૂની પેઢીએ હજી આ ઘણા નવા મૂલ્યો પૂરેપૂરા અપનાવ્યા નથી. તેમને પોતાના જમાનાના મૂલ્યો સાથે એક જાતનું માનસિક બંધન છે. જ્યારે નવી પેઢી વ્યક્તિ સ્વતંત્રતાના નવા મૂલ્યોમાં માનવા લાગે છે. તેથી બે પેઢી વચ્ચે અંતર પેદા થાય છે. જે સંઘર્ષ પેદા કરે છે. જેનું પરિણામ ઘણીવાર  વૃદ્ધાશ્રમ તરફનો પ્રયાણ તરીકે પણ જોઈ શકાય છે. જૂની અને નવી પેઢીના વિચારો મૂલ્યોમાં તફાવત હોય એનું એક દેખાતું પરિણામ એ આવે છે કે કુટુંબની અંદર જીવનશૈલીનો વિરોધાભાસ પેદા થાય છે.

 કુટુંબમાં વિઘટનની પ્રક્રિયા પણ વિકસે છે. સંકુટુંબના સભ્યો વચ્ચેની સંયુક્તતા કે એકતાના બંધનો, પારસ્પરિક ફરજો અને જવાબદારીઓના બંધનો તથા સંયુક્તતાની ભાવના નબળી પડવાની ઘટનાને સંયુક્ત કુટુંબના વિઘટન તરીકે ગણાવી શકાય. તે જ રીતે સભ્ય પોતાની સંયુક્ત કુટુંબ પ્રત્યેની પ્રણાલિકાગત ફરજો અને જવાબદારીઓથી વિચલિત થાય, કુટુંબના વડાની સત્તાને પડકારી સંઘર્ષ સર્જે, જેને પરિણામે સંયુક્ત કુટુંબથી અલગ થાય. તે ઘટનાને પણ સંયુક્ત કુટુંબના વિઘટન તરીકે ઓળખાવી શકાય. વર્તમાન સમયમાં દરેક કુટુંબમાં આવી ઘટનાઓ સામાન્ય થતી જાય છે. ભારતીય કુટુંબમાં બાળકો પુખ્ત વયે પહોંચતા કુટુંબના સંબંધોની નવી ઢબ ઉદભવે છે. પુત્ર કે ભાઈ ના લગ્ન થતાં પુત્રવધુ કે ભાઈની વહુનું ઘરમાં આગમન થાય છે. આ નવા સભ્યના ઉમેરાથી કુટુંબ માનસિક, સામાજિક અને કેટલીક વખત ભૌતિક રીતે પણ તંગદિલીની પરિસ્થિતિમાં મુકાય છે.

નાના સંયુક્ત કુટુંબો વિકસી રહ્યા છે. આધુનિક સમયમાં મોટા કદના અને સર્વોચ્ચ માત્રાની સંયુક્તતા ધરાવતા કુટુંબોનું પ્રમાણ ઘટતું જાય છે. ભારતમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ શહેરી વર્ગોમાં નાનું કુટુંબ એ કુટુંબ જીવનનું લાક્ષણિક સ્વરૂપ બની રહ્યું છે. આર્થિક પરિસ્થિતિ અને ઝઘડાઓએ કુટુંબના કદ ઉપર હંમેશા અસર નીપજાવી છે. ઉચ્ચ શિક્ષણ માટેની તકો, ઉચ્ચ મહત્વકાંક્ષા, વધતી જતી વ્યવસાયિક ગતિશીલતા, ઊંચ જીવન ધોરણ માટેની ઈચ્છા, વધુ વૈયક્તિકતા અને વધુ સ્વાતંત્ર જેવા પરિબળો નાના કુટુંબના વસવાટને ઉત્તેજન આપે છે. જે આપણને આધુનિક સમયમાં જોવા મળે છે.

(3) લગ્ન સંસ્થામાં પરિવર્તન

    લગ્ન પવિત્ર બંધન છે. લગ્ન સંસ્થામાં પ્રાચીન કાળથી પરિવર્તનો આવતા રહ્યા છે. પરંતુ આધુનિક યુગમાં વિભિન્ન પરિબળોના પ્રભાવ હેઠળ લગ્ન સંસ્થામાં પરિવર્તનો ઝડપી અને વ્યાપક બન્યા છે. જેમાં કેટલાક પરિવર્તનો લગ્ન સંસ્થા સામે પડકારરૂપ બની રહે છે.

લગ્નનું ધાર્મિક અને આધ્યાત્મિક પાસુ હવે નબળું પડ્યું છે. લગ્નમાં ધાર્મિક વિધિની ઔપચારિકતા જોવા મળે છે. જાતીય પવિત્રતાનું મહત્વ ઘટ્યું છે. લગ્નને પવિત્ર સંસ્કાર અને પવિત્ર બંધન ગણવાનો આદર્શ નબળો પડ્યો છે. વર શુલ્ક અને કન્યા શુલ્કના સ્વરૂપમાં લગ્નના ભૌતિક તત્વો દ્રષ્ટિકોચર થાય છે.

લગ્નનું સામાજિકભૌતિક પાસુ બળવત્તર બન્યું છે. લગ્ન ઊંચો દરજ્જો પ્રાપ્ત કરવાના એક સાધન તરીકે જોવાવા લાગ્યું છે. વર પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે લગ્નના વ્યવહાર તરીકે આર્થિક – ભૌતિક લેવડદેવડ દ્વારા બંને પક્ષ પ્રતિષ્ઠા મેળવવા પ્રયત્ન કરે છે. હવે લગ્નમાં નજીકના સગા ઉપરાંત વિશાળ મિત્રવૃંદ વિશાળ ધંધાકીય અને રાજકીય સંબંધો તથા પડોશીઓ વગેરે અસંખ્ય લોકોને લગ્ન પ્રસંગના ભોજન સમારંભમાં આમંત્રણ અપાય છે. લગ્ન અધિક ખર્ચાળ બન્યા છે. મોભો દર્શાવવા સુશોભિત લગ્નમંડપ અને વિશાળ ભોજન મંડપ દરજ્જા પ્રતિષ્ઠા ના પ્રતીક બને છે.

હિન્દુ લગ્નનું વિકસતું કરારી સ્વરૂપ. હિન્દુ લગ્ન સંસ્કારમાંથી કરાર તરફ જઈ રહ્યું છે. તે સંપૂર્ણપણે સંસ્કાર રહ્યું નથી તેમ જ સંપૂર્ણ રીતે કરાર પણ નથી, સ્ત્રી પુરુષ બંનેને છૂટાછેડાનો કાનૂની અધિકાર મળ્યો છે. પરંપરાગત આધ્યાત્મિક મૂલ્યોનો પ્રભાવ નબળો પડ્યો છે. પ્રેમ લગ્ન માન્ય થતા જાય છે. પત્ની માટેના સંબોધનો પણ બદલાયા છે. તેમજ લગ્ન આજે ભવોભવનું બંધન રહ્યું નથી.

લગ્ન વય ઉંચી આવતી જાય છે. 1929 ના શારદા એકટથી પુરુષ માટે લગ્ન વય 18 વર્ષની અને સ્ત્રી માટે 15 વર્ષની નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ લગ્નમાં વધારો કરે પુરુષો માટે 21 અને સ્ત્રીઓ માટે 18 કરવામાં આવી. કાનૂની સુધારા ઉપરાંત સ્ત્રી શિક્ષણનો વિકાસ, લગ્ન સાથે સંકળાયેલા ધાર્મિક ખ્યાલોનો ઘટેલો પ્રભાવ વગેરે કારણોસર લગ્નની વય ઉંચી ગઈ. શિક્ષણ લેતા યુવક યુવતીઓ મોટીવયે લગ્ન કરવાનું પસંદ કરે છે. કેટલાક સુધારકો અને ભારતની અતિ વસ્તીના પ્રશ્નથી ચિંતિત વિચારકો તો કાનૂન દ્વારા લગ્ન વય હજી ઊંચી લઈ જઈને પુરુષ અને સ્ત્રી માટે અનુક્રમે 25 વર્ષ અને 22 વર્ષની હિમાયત કરે છે.

જીવનસાથીની પસંદગીના ધોરણોમાં પણ પરિવર્તન આવ્યું છે. જ્યારે વ્યક્તિ કરતાં કુટુંબના હિત પર વધારે ભાર અપાતો ત્યારે વર કન્યા ની પસંદગીમાં બંને પક્ષો એકબીજાની જ્ઞાતિ, કુટુંબનો સામાજિક મોંભો, આર્થિક સ્થિતિ, કૌટુંબીક વ્યવસાય અને મિલકત વગેરે બાબતોને વધુ પ્રાથમિકતા આપતા. જીવનસાથી ની પસંદગી વડીલો કે મા બાપ દ્વારા કરવામાં આવતી હોવાથી વ્યક્તિગત કરતા કૌટુંબીક બાબતોને વધુ મહત્વ આપાતું . લગ્નને બે બે વ્યક્તિઓના જોડાણ કરતા બે કુટુંબોનું જોડાણ ગણવામાં આવતું. પરંતુ વર્તમાન સમયમાં લગ્ન કરનાર વ્યક્તિની પસંદગીને વિશેષ મહત્વ અપાય છે. લગ્નના સંબંધો નક્કી થતાં પહેલાં વર અને કન્યા એકબીજા ને રૂબરૂ મળીને, વાતચીત કરીને, પોતાની પસંદગી કે નાપસંદગી વ્યક્ત કરતા થયા છે. કૌટુંબીક વિશેષતાઓને બદલે વ્યક્તિગત લાયકાત ને વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે.  અને દેખાવ અને જીવનશૈલી પણ બંને પક્ષે વધુ મહત્વનો બનતો જાય છે.

આંતરજ્ઞાતિય લગ્ન વધ્યા છે. સહ્ શિક્ષણ, વ્યવસાય તથા એકબીજા સાથેનો સંપર્ક વધતા વ્યક્તિગત મૂલ્યોના પ્રભાવના કારણે અને પોતાના સ્વતંત્ર વિચારોના કારણે આંતરગાંતીય લગ્નનો વધ્યા છે અને સ્વીકારાયા છે.

દહેજ નું પ્રમાણ વધતું જાય છે. કારણ કે આપનાર અને લેનાર બંને માટે દહેજ એ પ્રતિષ્ઠાનો વિષય બને છે. દહેજના કાયદા હોવા છતાં પ્રતિષ્ઠાનો વિષય હોવાથી  શિક્ષિત લોકોમાં પણ તેનું પ્રમાણ ખૂબ વધતું જાય છે.

આ ઉપરાંત લગ્નના જમણવારો વૈભવી બનતા ગયા છે જેમાં ગ્રામીણ સમાજ પણ બાકાત નથી લગ્નના ખર્ચાઓ ખૂબ વધ્યા છે. બ્યુટી પાર્લર, ડી જે, પ્રીવેડિંગ શૂટિંગ વગેરે આધુનિક સમયમાં ગામડાઓ સુધી પહોંચ્યાં છે.

(4) સ્ત્રીના સ્થાનમાં પરિવર્તન

  બ્રિટિશ યુગમાં શરૂ થયેલી નારી મુક્તિની પ્રક્રિયા ધીમે ધીમે વધુ ઝડપી બની અને સ્વતંત્ર ભારતમાં આ પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. જે નીચેની ચર્ચા પરથી ખ્યાલ આવશે

     શિક્ષણ અને સ્ત્રીનું સ્થાન વિશે વિચારીશું તો ભારતમાં શિક્ષણ ક્ષેત્રે સ્ત્રીના સ્થાનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યા છે. બીજી બાજુ શિક્ષણ સ્ત્રીના સ્થાનમાં પરિવર્તન લાવનાર મહત્વના પરિબળ તરીકે ભાગ ભજવે છે. જેથી સ્ત્રી પુરુષ સમાન અધિકારનો પૂરો ઉપયોગ થયો છે. સ્ત્રી શિક્ષણને પુષ્કળ સામાજિક સ્વીકૃતિ મળી છે. મફત અને ફરજિયાત શિક્ષણનો પૂરો લાભ સ્ત્રીઓએ મેળવ્યો છે. જોકે શિક્ષણ ક્ષેત્રે સ્ત્રી પુરુષ અસમાનતા ટકી રહી છે. સ્વતંત્રતા પછીના ગાળામાં સમગ્ર રીતે સ્ત્રી શિક્ષણનો વ્યાપક વિકાસ જોઈ શકાય છે. જેની અસર સ્ત્રીના સ્થાન પર થઈ છે શિક્ષણના કારણે સ્ત્રી વ્યવસાય કરતી પણ થઈ છે તેની આર્થિક સ્વતંત્રતા વધી છે. શિક્ષણથી સ્ત્રીના વ્યક્તિત્વનો પણ વિકાસ થયો છે. ઉચ્ચ શિક્ષણ મેળવનાર સ્ત્રીઓમાં લગ્ન વય ઊંચી આવે છે. ઊંચી જીવનશૈલી જીવવાના સ્વપ્નો તે પૂરા કરી શકે છે. શિક્ષિત અને વ્યવસાય કરતી સ્ત્રીઓના લીધે તેનો કૌટુંબિક દરજ્જો પણ સુધર્યો છે. સ્ત્રીઓ પોતાના હકો વિશે પણ સભાન થાય છે. આજે સ્ત્રીઓ દરેક જાહેર પ્રવૃત્તિઓમાં ભાગ લેતી થઈ છે. જેથી વર્તમાન પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓનો મોભો ઊંચો આવ્યો છે.

કાયદો અને સ્ત્રીનું સ્થાન

      સ્ત્રીઓને મતાધિકાર અને રાજકીય પ્રતિનિધિત્વનો અધિકાર મળ્યો છે.  પંચાયતી રાજમાં સ્ત્રીઓ માટે  ૩૩ ટકા અનામત આપવામાં આવી છે. સ્વતંત્રતા પછી લગ્નના ક્ષેત્રે બનેલા કાયદાઓમાં 1954 નો સ્પેશિયલ મેરેજ એક્ટ અને 1955 નો હિન્દુ લગ્નનો કાયદો સ્ત્રીઓ માટે ખૂબ મહત્વનો છે. જેથી લગ્નવય પણ ઉંચી ગઈ છે. લગ્નનું ક્ષેત્રફળ વિસ્તૃત બન્યું છે. બહુ પત્ની અને બહુ પતિ લગ્ન પર પ્રતિબંધ મુકાયો છે. સ્ત્રી પુરુષ બંનેને છૂટાછેડાનો અધિકાર મળ્યો છે. દહેજ પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો પણ અસ્તિત્વમાં આવ્યો છે. કુટુંબની મિલકતના વારસા અંગેનો કાયદો પણ સ્ત્રીઓને મિલકતનો સંપૂર્ણ અધિકાર આપે છે. આ બધા કાયદાઓના લીધે મતાધિકાર અને રાજકીય સત્તા ક્ષેત્રમાં સ્ત્રીઓ પુષ્કળ પ્રમાણમાં આગળ આવે છે. બાળ લગ્નની અટકાયત થઈ છે. સ્ત્રીઓને આંતરજ્ઞાતિય લગ્નની છૂટ મળી છે. અને બહુ પત્ની લગ્ન પ્રથા પર પ્રતિબંધ આવ્યા છે. વિધવા સ્ત્રીઓ માટે પુન: લગ્નની છૂટ કાયદા દ્વારા મળી છે. છૂટાછેડાનો પણ પુરુષ સમાન અધિકાર હવે સ્ત્રીઓ ધરાવે છે. દહેજ પ્રથા પર પ્રતિબંધ છે. સ્ત્રીઓને પતિની અને પિતાની બંનેની મિલકતમાં અધિકાર મળ્યો છે.

વ્યવસાય અને સ્ત્રીનું સ્થાન

   ઉચ્ચ શિક્ષણ મેળવીને ભારતની સ્ત્રીઓ હવે દરેક પ્રકારના વ્યવસાયમાં જોવા મળે છે. મધ્યમ વર્ગની સ્ત્રીઓ પણ હવે વિભિન્ન વ્યવસાયોમાં કામ કરતી થઈ છે. અને ખૂબ કાર્યક્ષમ રીતે કામ કરે છે. વ્યવસાયના કારણે સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થઈ છે. લગ્ન વય ઉંચી ગઈ છે. બાળ લગ્ન પર નિયંત્રણ આપ્યું છે. સ્ત્રીઓ માટે લગ્નનું ક્ષેત્ર વિશાળ બન્યું છે. કુટુંબ જીવનમાં સ્ત્રીના દરજજા ભૂમિકા વિશેના ખ્યાલો પણ હવે તો બદલાઈ ચૂક્યા છે. સ્ત્રીઓ નવા મૂલ્યો સ્વીકારતી થઈ છે. અને ક્યાંય પણ તકલીફ હોય તો સ્ત્રી સંગઠનોની મદદ પણ મેળવતી થઈ છે.

References:-

(1) સામાજિક પરિવર્તન લેખક મહેન્દ્ર કૃષ્ણલાલ ઝવેરી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ 1977

(2) આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન જે કે દવે અનડા બુક ડીપો અમદાવાદ 2020

(3) આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન એ જી શાહ જે કે દવે રચના પ્રકાશન

 (4) ભારતમાં સમાજ- માળખું અને પરિવર્તન પ્રો. એજી શાહ પ્રો. જે કે દવે

      અનડા બુક ડીપો અમદાવાદ 2004-05

(5) સામાજિક પરિવર્તન અરુણ મિશ્રા રાવત પ્રકાશન નઈ દિલ્હી 2013