પંચાયતી રાજમાં યુવાનોની ભૂમિકા એક અભ્યાસ

ડૉ. સંજય. વી. પટેલ

આસિ. પ્રોફેસર, સમાજશાસ્ત્ર વિભાગ , ડી.એમ.પટેલ આર્ટસ એન્ડ એસ. એસ.પટેલ કોમર્સ કોલેજ, ઓડ, તા. જિ. આણંદ

Abstract

પ્રવર્તમાન લોકશાહીમાં લોકોના મૂઢમાં ફેરફાર થયો જોવા મળે છે. લોકો એમ માને છે કે નેતાઓએ તેઓને નિરાશ કર્યા હતા.”ભારતીય સ્વતંત્રતાના સમયગાળા બાદ લોકો નેતાઓના કાર્યોથી અસંતૃષ્ઠતા અનુભવતા જોવા મળ્યાં છે. આધુનિક ભારતીય રાજકારણમાં નેતૃત્વની વિવિધ જવાબદારીઓ જોવા મળે છે. ઘણાં ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમની ફરજોથી પ્રામાણિકપણે મુકત થઈ જાય છે. પંચાયતીરાજનાં સભ્યો પણ તેઓની સભાઓમાં હાજરી આપતા નથી. ગામડાંના લોકો એમ માનવા લાગે છે કે ગ્રામીણ નેતાઓ તેઓના કાર્યો સંતોષકારક કરતા નથી. માનસિક રીતે વિકાસના કામો કરે એવા નેતૃત્વ ઊભરતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. સ્થાનિક ગ્રામીણ સમાજોમાં નેતાઓ અને લોકો વચ્ચે વંચિતતા સંબધિ વિવિધ આંતરિક સંઘર્ષ અવગણનાઓ જોવા મળે છે. વિકાસ માટે ઘડવામાં આવેલી યોજનાઓ સમાજનાં છેવાડાનાં લોકો સુધી પોહચે તે માટે કાર્ય કરવું જોઈએ. ભારતીય રાજકારણમાં જવાબદાર નેતૃત્વ ખૂબ જ ઓછા પ્રમાણમાં થતા જોવા મળે છે. સમાજનાં લોકો નેતા માટે કેટલાક ગુણો હોવા અનિવાર્ય માને છે જેમ કે શિક્ષણ, વફાદારી, બૌધ્ધિક ક્ષમતા, અભિવ્યક્તિ વગેરે. પ્રવર્તમાન સમયગાળાનાં ભારતીય રાજકારણનાં નેતાઓ સાકડી માનસિકતા અને સ્વાર્થપણાની ભાવના ધરાવતા જોવા મળે છે. પ્રો. એસ. સી. દુબેના જણાવ્યાં અનુસાર “ભારતીય રાજકીય નેતૃત્વ તીવ્ર કટોકટીમાંથી પસાર થઈ રહયું છે.

ચાવીરૂપ શબ્દો : નેતૃત્વ, નેતા, લોકશાહી, પંચાયતી રાજ, આદિવાસી, બિન આદિવાસી

પ્રસ્તાવના

ભારતના ગામડાઓએ સદીઓથી પોતાની ગામડાની આગવી સંકૃતિ વિકસાવી છે. આદિ સમયકાળથી જ ભારતમાં ગામ સમુદાયો વૈવિધ્યસભર એવું ‘સામુહિક જીવન’ વિકસાવ્યું છે. પંચાયતીરાજએ ભારત માટે કોઈ નવી ઘટના નથી. ગ્રામ પંચાયતો ભારતીય સમાજની એક પ્રણાલિરૂપે પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવે છે. તમામ વાસ્તવિક હેતુઓ માટે તેઓ ‘Little Republics’ હતા, તેમ કહેવું ખોટું નથી.

પરંપરાગત ભારતીય સમાજમાં નેતૃત્વ ત્રણ પ્રકારે જોવા મળતું હતુ. જેમા જમીનદારી પ્રથા, ગ્રામ પંચાયત અને જાતિ પંચાયતનો સમાવેશ થતો હતો. જમીનદારી નેતાગીરીએ મુખ્યત્વે સમાજનાં આંતરિક સંબધોની વ્યવસ્થા તથા જમીનના અધિકાર પર આધારિત હતી. ગામાડાંઓમાં જે વ્યક્તિ પર વધારે જમીન હોય એ વ્યક્તિ જમીનદાર તરીકે લોકો માને છે તથા તેઓ સમાજ પર સત્તા ધરાવે છે. આવા પ્રકારોની નેતૃત્વની સત્તા વંશ પરંપરાગત એટલે કે પેઢીદર પેઢીથી ચાલી આવતી જોવા મળે છે. પરિણામ સ્વરૂપે જે વ્યક્તિ કે કુટુંબ પાસે ખૂબ જ વધારે જમીન હોય તે નેતાગીરી અપનાવે છે. જેના લીધે તેઓ સમાજ પર સત્તા ભોગવતા જોવા મળે છે. આ પ્રકારનાં નેતૃત્વ મોટાભાગે પેઢીદર પેઢીઓથી જ ચાલતું જોવા મળતું હતું.

ભારતમાં પરંપરાગત નેતૃત્વ :

રાજકીય નેતૃત્વનો બીજો આધાર ગામ પંચાયત રૂપે જોવા મળતું. આમ છતા ભારતમાં ગામ પંચાયતોનું સંગઠન બધે સમાન રીતે જોવા મળતું ન હતું. ગામ પંચાયતો સમાજમાં વ્યક્તિઓને તેમના અધિકારોથી માહિતગાર કરતી હતી. ગામ પંચાયતોના અધિકારો જ રાજકીય નેતૃત્વ વ્યવસ્થાનો વાસ્તવિક આધાર રૂપે જોવા મળતો હતો. આવા સંગઠનોનાં ગામના બનાવેલા કાયદાઓ અને વ્યવસ્થાઓને લઈને સમાજનાં વ્યક્તિઓને ન્યાય મળતો હતો. અહીં આપણે સિધ્ધાંતિકરૂપથી જોઈએ તો ગ્રામ પંચાયતોનું સ્થાન સર્વોપરી હતું. આમ છતા જે વ્યક્તિ આર્થિક રીતે સંમ્પન હોય એ જ વ્યક્તિ નેતૃત્વ ધારણા કરતો હતો.

રાજકીય નેતૃત્વનો ત્રીજો આધાર જાતિ પંચાયતો હતી. જાતિ પંચાયતએ એક ચોક્કસ જાતિના સમુહની પંચાયત છે. જે એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોય છે. જેમાં પોતાની જાતિઓના સમૂહમાં એ જ જાતિનાં વ્યક્તિને નેતૃત્વ મળે છે અને તેમના આધારે સત્તા આપવામાં આવે છે. આવી પંચયતોમાં નિયમોના ઉલ્લંઘન કરનારાઓને ચોક્કસ સજા આપવામાં આવે છે. પોતાના જાતિઓના વ્યક્તિઓ ઉપર સત્તા ભોગવવામાં આવે છે. આ જાતિ પંચાયતોનો ઉદ્દેશ્ય પોતાની જાતિના લોકોને અનુશાસિત કરવાનું હતું. પરંપરાગત જાતિ પંચાયત આદિવાસી સમાજોમાં સદીઓથી જોવા મળે છે. પરંપરાગત જાતિ પંચાયતોમાં એક પ્રમુખ અને તેમના સભ્યોનો સમાવેશ કરવામાં આવતો હતો. આવી પંચાયતોમાં સામાજિક વ્યવસ્થાને જાળવવાનું મુખ્ય ધ્યેય હતો.

આધુનિક ભારતમાં રાજકીય નેતૃત્વ :

આધુનિક ભારતીય સમાજમાં નેતૃત્વને લીડ કરનારાઓ વિવિધ નેતાઓ થઈ ગયા. ભારતીય સમાજમાં આઝાદી પછીના વર્ષોમાં નેતૃત્વમાં વિવિધ પરિવર્તનો આપ્યાં છે. રાજકીય સત્તાનાં ફેરફારની સાથે જ આર્થિક અને સામાજિક સત્તામાં પણ ધરખમ ફેરફાર થયા છે. ૧૯૪૭ નાં સમયગાળાનાં ઘણાં નેતાઓ ભારતીય સમાજને આઝાદી અપાવવામાં ખૂબ જ મહેનત કરી તથા ભારતીય સમાજને માળખાકરણ કરવામાં પણ અથાગ કાર્યો કર્યા. એ સમયગાળામાં નેતાઓની નિસ્વાર્થ ભાવનાઓ ભારતીય સમાજની દશા અને દિશા બદલવા માટે હતી. ત્યાર પછીના સમયગાળામાં ભ્રષ્ટાચાર વધતો રહયો છે. ભારતીય રાજકારણમાં ભ્રષ્ટાચાર મોખરાનું સ્થાન ધરાવે છે. આજે ભારતીય સમાજમાં જાતિવાદ, સાંપ્રદાયિકવાદ, પ્રદેશવાદ,  ભ્રષ્ટાચાર, સ્વાર્થ વગેરે વધારે પ્રમાણમાં જોવા મળે છે.

પ્રો. એસ. સી. દુબેના જણાવ્યાં અનુસાર “ભારતીય રાજકીય નેતૃત્વ તીવ્ર કટોકટીમાંથી પસાર થઈ રહયું છે. પ્રવર્તમાન લોકશાહીમાં લોકોના મૂઢમાં ફેરફાર થયો જોવા મળે છે. લોકો એમ માને છે કે નેતાઓએ તેઓને નિરાશ કર્યા હતા.”ભારતીય સ્વતંત્રતાના સમયગાળા બાદ લોકો નેતાઓના કાર્યોથી અસંતૃષ્ઠતા અનુભવતા જોવા મળ્યાં છે. સમાજને ઘણાં લાભોથી વંચિતપણા ભોગવતા આવ્યાં છે. નેતૃત્વ દ્વારા ઘણીવાર નિર્ણયો લેવામાં આવતા નથી જેના કારણે બનાવેલી નિતીઓ, યોજનાઓ સફળ થતી નથી. તેમના લીધે નબળા પરિણામો આવે છે. આવી રીતે નેતૃત્વ જવાબદારી પૂર્વકનું હોવું અનિવાર્ય છે. સમાજનાં લોકોમાં નેતૃત્વની આગવી છાપ ઊભી થાય એ અનિવાર્ય બને છે.

નેતૃત્વ સંબધિત વિવિધ અધ્યયનોમાં ઊભરતા નેતૃત્વનો અભ્યાસ કરવામાં આવે છે. જેમાં ભારતીય સમાજનાં વિકાસમાં સહાયરૂપ બને એવા નેતૃત્વની જરૂરિયાત ઊભી થાય છે. વિવિધ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નવા નેતૃત્વમાં સમાજમાં વિકાસ પ્રત્યે ઓછી રૂચી ધરાવે છે. સમાજનાં અમુક વર્ગો સાથે જ સંપર્કમાં આવતા જોવા મળે છે. મોટા ભાગનાં નેતાઓ સમાજના ઉપલા કે ઉચ્ચ વર્ગોનાં લોકો સાથે જ સંપર્ક વધારે રાખતા જોવા મળે છે. એમના જ કારણે સમાજનાં નિચલા વર્ગોમાં અસંતોષ જોવા મળે છે. વિધાનસભા અને લોકસભાના નેતાઓ સમાજનાં નીચેના વર્ગો સાથે ઓછા પ્રમાણમાં સંકળાયેલા જોવા મળે છે.

લોકસભા અને વિધાનસભાનાં નેતાઓ લોકસંપર્ક ઓછા પ્રમાણમાં ધરાવતા જોવા મળે છે. આવા નેતાઓ જણાવે છે કે તેઓના અનુયાયીઓ દ્વારા લોકસંપર્ક નીચેના વ્યક્તિ સુધી રાખે છે પરંતુ તે હકીકતમાં નથી. આવા પ્રકારનાં નેતાઓ સંમૃધ્ધ વર્ગો સુધી સંબધો રાખે છે. તેઓ નિમ્ન વર્ગો સાથે ઓછા સંપર્કમાં આવતા જોવા મળે છે.

એક રાષ્ટ્ર માટે તેમજ એક સંગઠન માટે ટકી રહેવા તેમજ વધુ વિકાસ કરવામાં સફળ થવામાં નેતૃત્વ સૌથી મુખ્ય ભૂમિકા ભજવે છે. દેશના પ્રધાનમંત્રી કે પછી રાજયના મુખ્યમંત્રી કે પછી પંચાયતી રાજનાં ચૂંટાયેલા સભ્યો ( જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, ગામના સરપંચો ) વગેરે રાજકીય પ્રક્રિયામાં નેતૃત્વ મહત્વની ભૂમિકા ભજવે છે. કોઈ સમાજ હોય કે પછી દેશ હોય કે પછી પ્રશાસન હોય એને પારદર્શી, પોતાના સમુદાયને સમર્પિત અને લોકોને જવાબદાર એવા શક્તિશાળી નેતૃત્વ ધરાવનાર નેતાઓની જરૂર હોય છે.

વિશ્વના ઘણા દેશોએ વધુ ને વધુ પ્રમાણમાં શાસન માટે લોકશાહીનું માળખું અપનાવ્યું છે. આવા માળખામાં પુખ્તવયના મતાધિકારના ધોરણે નેતાઓ પ્રજા દ્વારા ચૂંટાઈ આવે છે. નિશ્ચિત સમય સુધી આવા નેતાને કાર્યભાર સોંપવામાં આવે છે અને મુદ્દત પૂર્ણ થતાં ફરી ચૂંટણી કરવી પડે છે. ભારતમાં ચૂંટણી સંબંધિત વિવિધ નિયમો પણ જોવા મળે છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો પણ જોવા મળે છે.  અહી નેતૃત્વ અને નેતા વિશે કેટલીક બાબતો સમજવી અનિવાર્ય બને છે.

ભારતમાં પંચાયતીરાજનો ઉદ્દભવ અને વિકાસ

પ્રાચીન સમયની આ પંચાયતો કાળક્રમે સતત રીતે પરિવર્તિત બનતી રહી છે. આઝાદી બાદ લગભગ બધા જ રાજ્યોમાં વિકાસ માટેના કાયદાઓ પસાર થયા. ભારતનાં વિભિન્ન રાજ્યોની અંદર ભિન્ન-ભિન્ન પ્રયોગો થઈ રહ્યા ત્યારે આયોજન પંચે જી. વી. કે. રાવ કમિટિની રચના કરી. સત્તાના વિકેન્દ્રીકરણની પ્રક્રિયા ઝડપથી થવી અત્યંત જરૂરી બની રહે છે, જે માટે બંધારણીય જોગવાઈઓમાં ફેરફાર કરવો જરૂરી બનેલ. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પંચાયતોને વધારે પ્રાણવાન બનાવવા પ્રયાસો કર્યા છે તે સુપેરે વિદિત છે. આ બાબતની અનિવાર્યતા સ્વીકારીને નવું બીલ રજૂ કર્યુ. “જે પાછળથી ૭૩ મો બંધારણીય સુધારો, પંચાયત અધિનિયમ – ૧૯૯૩” તરીકે એપ્રિલ – ૯૪ થી અમલમાં આવ્યો.

૭૩ માં બંધારણીય સુધારામાં દરેક રાજ્યમાં પંચાયત ત્રણ સ્તરમાં વહેંચાયેલી હશે, તે બાબત નક્કી કરાઈ. જુના કાયદામાં નગર પંચાયતોની વ્યવસ્થા  હતી, જે બાબતે નવા કાયદામાં સ્થાન નથી મળ્યું અને તેના બદલે નગરપાલિકાઓને સ્થાન અપાયું છે.

  • પંચાયતીરાજને મજબૂત બનાવવા પંચાયતરાજને બંધારણીય માન્યતા આપવી જોઈએ.
  • જિલ્લા પંચાયતો વિકાસ અને આયોજન માટે સત્તા ધરાવતી હોવી જોઈએ.
  • દર પાંચ વર્ષે નિયમિત અને મૂક્ત ચૂંટણી યોજવી જોઈએ.

આમ ઉપરોક્ત ભલામણોને આધારે જુન ૧૯૯૦ માં બંધારણીય સુધારણાવીલ દાખલ કરવામાં આવ્યું. ત્યારબાદ પંચાયતરાજને બંધારણમાં અલગ પ્રકરણ તરીકે સ્થાન આપવું, પંચાયતોના સ્તરોમાં સુધારો કરવા તેની મોર્ડલ માર્ગદર્શક સુચનાઓ તૈયાર કરવી અને સ્તરીય માળખું રાજ્ય સરકારો નક્કી કરે, પંચાયતોની ચૂંટણીની વ્યવસ્થા પણ આમેજ કરાય અને ગ્રામસભાનો ખ્યાલ પણ દાખલ કરવામાં આવે, તેમ મુખ્યમંત્રીઓની બેઠકમાં નિર્ણય થયો.

ગુજરાતમાં પંચાયતીરાજનો ઉદ્દભવ અને વિકાસ :

ભારતની આઝાદી બાદ ગુજરાતમાં શ્રી બળવંતભાઈ મહેતાના પ્રયાસોથી ૧ એપ્રિલ ૧૯૬૩ માં પંચાયતીરાજની શરૂઆત થઈ. ગુજરાતમાં રસિકલાલ પરીખના અધ્યક્ષપદે ૧૩ સભ્યોની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિની રચના કરવામાં આવી. સત્તાનું વિકેન્દ્રીકરણએ પંચાયતીરાજનું હાર્દ છે. ગામડાઓને સ્થાનિક કક્ષા ઉપર જ સત્તાની સોંપણી કરી, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવો એ પંચાયતીરાજનો એક હેતુ ગણાય છે.

ગુજરાતમાં પંચાયતીરાજના ત્રિસ્તરીય માળખાનો અમલ ૧૯૬૩ થી થયેલ. ૭૩માં બંધારણીય સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાની ભાગીદારી ઊભી કરી, વિકાસ અંગેના નિર્ણયો સ્થાનિક કક્ષાએ જ લેવાના થાય તે સહ્યો છે. સાથોસાથ આ સુધારા દ્વારા પંચાયતીરાજ સંસ્થાને અસરકારક સંસ્થા બનાવવાનો પ્રયાસ કરાયો છે.

આમ, ૭૩ માં બંધારણીય સુધારાએ પંચાયતીરાજ વ્યવસ્થાને બંધારણીય મોભો અને સ્થાન આપેલ છે. પંચાયતીરાજની આ ત્રિસ્તરીય વ્યવસ્થા આ મુજબની છે.

            પંચાયતીરાજનું ત્રિસ્તરિય માળખું :

૧.         જિલ્લા પંચાયતો.

૨.         તાલુકા પંચાયતો.

૩.         ગ્રામ પંચાયતો.

સંશોધન અભ્યાસનું કાર્યક્ષેત્ર :

પ્રસ્તુત સંશોધનનું અભ્યાસક્ષેત્ર દક્ષિણ ગુજરાત છે. જેમાં ભરૂચ, સુરત, નવસારી, અને વલસાડ એમ ૪ જિલ્લાનો સમાવેશ થાય છે. આ દરેક જિલ્લાઓમાંથી જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો અને સરપંચોનો હેતુપૂર્વક નિદર્શન પધ્ધતિ દ્વારા ઉત્તરદાતા કે માહિતીદાતા તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાની માહિતી :

પ્રસ્તુત અભ્યાસમાં દક્ષિણ ગુજરાત અભ્યાસ ક્ષેત્ર તરીકે પસંદ કરેલ છે. અહી દક્ષિણ ગુજરાતનાં ૭ જિલ્લાઓની સામાજિક, આર્થિક, ભૌગોલિક, વસ્તીકીય વગેરે જેવી બાબતોની માહિતી એકદમ ટુંકમાં આપવામાં આવી છે.

નિદર્શની પસંદગી

પ્રસ્તુત અભ્યાસના સમગ્ર વિષયને ધ્યાનમાં રાખીને હેતુપૂર્વક નિદર્શન પદ્ધતિ દ્વારા ૯૬ આદિવાસી નેતાઓ અને ૯૬ બિન આદિવાસી નેતાઓ એમ કુલ ૧૯૨ ઉત્તરદાતાઓની પસંદગી કરવામાં આવી હતી. જે નીચે મુજબના કોષ્ટકમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.

માહિતીનું એકત્રીકરણ

પ્રસ્તુત સંશોધન માટે ક્ષેત્રકાર્ય દ્વારા માહિતી મેળવવા માટે વિવિધ પધ્ધતિ અને પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે.

  • નિરીક્ષણ પધ્ધતિ
  • સહભાગી નિરીક્ષણ
  • મુલાકાત પધ્ધતિ
  • મુલાકાત અનુસૂચિ
  • પ્રશ્નાવલી પધ્ધતિ

સંશોધનનું મહત્વ

  • આ સંશોધન દક્ષિણ ગુજરાતનાં ૪ જિલ્લા પુરતું જ મર્યાદિત છે.
  • આ સંશોધન જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો અને ગામના સરપંચોને ધ્યાનમાં રાખી અભ્યાસ કરવામાં આવેલ છે.
  • પ્રસ્તુત અભ્યાસમાં આદિવાસી અને બિન આદિવાસીની સમુદાયોના નેતાનો તુલના સંબધિત અભ્યાસ છે.
  • પ્રસ્તુત અભ્યાસ ઉપર ખુબજ ઓછા સંશોધનો થયા હોવાના કારણે સંદર્ભ સાહિત્યના અવલોકનની તક ઓછી ઉપલબ્ધ બને છે.

માહિતીનું વિવિધ કોષ્ટકોમાં વર્ગીકરણ કર્યા બાદ નીચે મુજબના તારણો

  • પ્રસ્તુત અભ્યાસ હેઠળના ધર્મમાં ૮૩.૩૩% આદિવાસી નેતાઓ હિન્દુ ધર્મ પાળે છે. જેમની તુલનામાં ૯૬.૮૮% બિન આ દિવાસી નેતાઓ હિન્દુ ધર્મ પાળે છે. આદિવાસી સમાજમાં હિંદુકરણ અને ખ્રિસ્તીકરણના કારણે નેતાઓ હિંદુ અને ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે.
  • અભ્યાસ હેઠળના શિક્ષણનાં સ્તરમાં ૨૬.૦૪% આદિવાસી નેતાઓએ ઉ.માધ્યમિક શિક્ષણ મેળવેલ છે. જેમની તુલનામાં ૩૮.૫૪% આદિવાસી નેતાઓએ માધ્યમિક શિક્ષણ મેળવેલ છે. અહી આદિવાસી અને બિન આદિવાસી નેતાઓમાં શિક્ષણના વિવિધ સ્તરોમાં અભ્યાસ કરેલા માલુમ પડે છે. બન્ને પ્રકારના નેતૃત્વમાં કોઈ પણ નેતા નિરક્ષર નથી.
  • અભ્યાસ હેઠળના વ્યવસાયમાં ૫૬.૨૫% આદિવાસી નેતાઓ ખેતી કરે છે. જેમની તુલનામાં ૪૧.૬૬% બિન આદિવાસી નેતાઓ ખેતી કરે છે. આદિવાસી નેતાઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ઓછી જમીન હોવા છતાં પણ તેવો ખેતી પર આધાર રાખે છે. જયારે બિન આદિવાસી નેતાઓ ધંધો, નોકરીમાં વધુ જોડાયેલા જોવા મળે છે.
  • અભ્યાસ હેઠળના કુટુંબની વાર્ષિક આવકમાં ૪૮.૯૫% આદિવાસી નેતાઓ ૨૫,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીની વાર્ષિક આવક ધરાવે છે. જેમની તુલનામાં ૩૧.૮૭% બિન આદિવાસી નેતાઓ ૭૬,૦૦૦ થી ૧૦૦,૦૦૦ સુધીની વાર્ષિક આવક ધરાવે છે. અહી આદિવાસી નેતાઓની તુલનામાં બિન આદિવાસીની કુટુંબની વાર્ષિક આવક ખુબજ વધારે છે. જેમનું કારણ તેઓ વધારે જમીન, વ્યવસાય, ધંધો, નોકરી કરતા વધુ છે. જેથી તેઓની આવક પણ આદિવાસી નેતાઓ કરતા વધુ જોવા મળે છે.
  • અભ્યાસ હેઠળના નેતા બનવા માટે પૈસાની જરૂરિયાતમાં ૧૦૦% આદિવાસી નેતાઓ અને બિન આદિવાસી નેતાઓ મને છે કે વર્તમાન સમયમાં નેતા બનવા માટે વ્યક્તિ આર્થિક રીતે સધ્ધર હોય એ જરૂરી છે. આર્થિક ગરીબ વ્યક્તિમાં ૧૦૦% આદિવાસી નેતાઓ અને બિન આદિવાસી નેતાઓ મને છે કે પ્રવર્તમાન સમયમાં નેતાગીરી મેળવવા માટે આર્થિક સધ્ધરતા હોવી અનિવાર્ય છે.
  • અભ્યાસ હેઠળના રાજકીય પક્ષના લીધે જૂથવાદમાં ૫૪.૧૬% આદિવાસી નેતાઓ રાજકીય પક્ષોના લીધે વધુ જૂથવાદ થાય એમ માને છે. જેમની તુલનામાં ૬૬.૬૬% બિન આદિવાસી નેતાઓ રાજકીય પક્ષોના લીધે વધુ જૂથવાદ થાય એમ માને છે. અહી સ્પષ્ટ બતાવે છે કે આદિવાસી નેતાઓ કરતા બિન આદિવાસી નેતાઓ રાજકીય પક્ષના લીધે વધુ જૂથવાદ થાય એમ જણાવે છે.
  • અભ્યાસ હેઠળના સંઘર્ષને કઈ રીતે દૂર કરવામાં ૭૩.૯૫% આદિવાસી નેતાઓ સંઘર્ષ કે ઝઘડાને સમજાવટથી દૂર કરે છે. જેમની તુલનામાં ૬૬.૬૬% બિન આદિવાસી નેતાઓ સંઘર્ષ કે ઝઘડાને સમજાવટથી દૂર કરે છે. અહી આદિવાસી નેતાઓ બિન આદિવાસી નેતાઓ કરતા વધુ ઝઘડાને સમજાવટથી દુર કરવાનો પ્રયાસ કરે છે. સમાજના ઝઘડા કે સંઘર્ષ કોટ કે પોલીસ ખાતામાં ના જાય અને પૈસા કે સમયનો વ્યય ના થય એમ જણાવે છે. અહી બન્ને પ્રકારના નેતાઓ એમ જણાવે છે કે સમાજના ઝઘડા કે સંઘર્ષના ન્યાયમાં ૧૦૦% આદિવાસી નેતાઓ અને બિન આદિવાસી નેતાઓ નિષ્પક્ષ રીતે ન્યાય કરે છે.
  • અભ્યાસ હેઠળના ભ્રષ્ટાચારમાં ૬૯.૮૦% આદિવાસી નેતાઓ ભ્રષ્ટાચારનો વિરોધ કરશે એમ જણાવે છે. જેમની તુલનામાં ૭૬.૦૪% બિન આદિવાસી નેતાઓ ભ્રષ્ટાચારનો વિરોધ કરશે એમ જણાવે છે. અહી આદિવાસી નેતાઓ માને છે કે ભ્રષ્ટાચારનો વિરોધ કરવાથી કોઈ ફરક પડતો નથી. ઉપરના લોકો જ ભ્રષ્ટાચાર કરે છે એમ માને છે. અહી બિન આદિવાસી નેતાઓ  ભ્રષ્ટાચારનો વધારે વિરોધ કરે છે.
  • સંદર્ભ સૂચિ
૧. जवाहरलाल पाटल (२००७) : ग्रामीण नेतृत्वका बदलता हुआ स्वरूप – एका समाजशास्त्रीय अध्ययन – पं रविशंकरशुक्ल विश्वविध्यालय रायपूर (छ.ग)
૨. सिंह ई.पी (१९९५) : ग्रामीण शक्ति संरचना के बदलते प्रतिमान : डिस्कवरी पब्लिकेशन हाऊस दिल्ली
૩. डॉ. रामजी शर्मा : भारतीय समाज व्यवस्था एवम परंपरा ब्रिज प्रकाशन, पटना, बिहार
૪. जतीन्द्रसिह सीसोदिया  (१९९९) : पंचायतीराज में अनुसूचित जाति का महिला नेतृत्व, राष्ट्रीय ग्रामविकास संस्थान,  राजेन्द्रनगर, खंड – २
૫. जवाहरलाल पाटल (२००७) : ग्रामीण नेतृत्वका बदलता हुआ स्वरूप – एका समाजशास्त्रीय अध्ययन” पं रविशंकरशुक्ल  विश्वविध्यालय  रायपूर (छ.ग)
૬. महिपाल (२०१३) : पंचायतीराज एवम आनेवाली समस्याए, नेशनल बुक ट्रस्ट न्यू दिल्ली – ११००७०
૭. जोशी, डॉ. आर.पी मंगलानी डॉ. रूपा (२०१३) : जोशी, डॉ. आर.पी मंगलानी डॉ. रूपा, भारत मे पंचायती व्यवस्था राजस्थान हिन्दी ग्रन्थ अकादमी जयपुर
૮. बालेल, डॉ. बसंतीलाल (२०१३) : पंचायतीराज एवम विकास योजनाए, राजस्थान हिन्दी ग्रन्थ अकादमी जयपुर
૯. पूनमकुमारी (२०१४) : पूनमकुमारी, पंचायतीराज मे महिला नेतृत्व – राजस्थान ओर हरियाणा जिल्ले के संदर्भमे एक तुलनात्मक अध्ययन, पीएच.डी अध्ययन, राजस्थान विश्वविध्यालय जयपुर

ગુજરાતી પુસ્તકો :

૧. પી.વી. યંગ (૧૯૬૮) : સંશોધન પધ્ધતિઓ, ઓક્ષફોર્ડ પ્રેસ.
૨. ઓલપોર્ટ (૧૯૭૩) : સિસર્ચ મેથડ, સેજ પબ્લિકેશન, ઈન્ડિયન પ્રિન્ટ.
૩. મનોવિજ્ઞાનમાં સંશોધન પધ્ધતિઓ : જમનાદાસ પ્રકાશન, અમદાવાદ.
૪. મનહર ચરપોટ (૨૦૧૬)   : પંચાયતીરાજ અને આદિવાસી મહિલાઓ – પીએચ.ડી. અભ્યાસ, ગુજરાત યુનિવર્સિટી