ડો. ડી. એચ. સુખડીયા
પરીક્ષા નિયામક,ભક્તકવિ નરસિંહ મેહતા યુનિવર્સીટી
VOLUME-10 / YEAR -10 / ISSUE –8 / AUGUST-2023
૧. પ્રસ્તાવના
મહાત્મા ગાંધી એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન નેતા હતા, પરંતુ તેમનું યોગદાન માત્ર રાજકીય સ્વતંત્રતા સુધી સીમિત નહોતું. તેમણે સમાજ સુધારણા, સ્વાવલંબન અને સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર પણ ઊંડો પ્રભાવ પાડ્યો. ગાંધીજી માટે સ્વચ્છતા એ ફક્ત શારીરિક સફાઈનો વિષય નહોતો, પરંતુ તે વ્યક્તિના મન, શરીર અને આસપાસના વાતાવરણની શુદ્ધતાનું પ્રતીક હતું. તેમનું માનવું હતું કે સ્વચ્છતા વિના સ્વરાજ (સ્વશાસન) અધૂરું છે, કારણ કે સાચી સ્વતંત્રતા ત્યારે જ મળે જ્યારે વ્યક્તિ અને સમાજ ગંદકીથી મુક્ત હોય. તેમણે સ્વચ્છતાને આરોગ્ય, સ્વમાન અને સામાજિક સમાનતા સાથે જોડીને એક નવું દૃષ્ટિકોણ આપ્યું.
ગાંધીજીએ પોતાના જીવનમાં સ્વચ્છતાને અમલમાં મૂકી બતાવ્યું. તેમણે આશ્રમમાં રહેતા લોકોને પોતાના રહેઠાણ અને શૌચાલયો સાફ રાખવાની શિખામણ આપી હતી અને સ્વયં શૌચાલય સાફ કરીને સમાજને સંદેશ આપ્યો કે સફાઈનું કામ કોઈ નીચું નથી. તેમના મતે, ગંદકી એ ગરીબી, અજ્ઞાન અને અસમાનતાનું પરિણામ છે, અને તેને દૂર કરવા માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. તેમણે સ્વચ્છતાને પ્રકૃતિ સાથે સંનાદી જીવન જીવવાની રીત તરીકે પણ જોઈ, જે આજના પર્યાવરણીય સંકટના સમયમાં અત્યંત પ્રસ્તુત છે.
આજે, જ્યારે ભારત સ્વચ્છ ભારત અભિયાન જેવી યોજનાઓ દ્વારા સ્વચ્છતા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગાંધીજીના વિચારો હજુ પણ માર્ગદર્શક બની રહે છે. આ લેખમાં આપણે ગાંધીજીના સ્વચ્છતા વિશેના વિચારો, તેમનું સામાજિક મહત્વ અને આધુનિક સંદર્ભમાં તેની ઉપયોગિતાની ચર્ચા કરીશું.
૨. સ્વચ્છતાનો અર્થ
સ્વચ્છતા એ સૂક્ષ્મ જંતુઓ, ગંદકી, કચરાપેટી અથવા કચરાથી મુક્ત થવાની અમૂર્ત સ્થિતિ છે અને સ્વચ્છતા જાળવવાની ટેવ પોતાની તેમજ પોતાની આસપાસની જગ્યાની સફાઈ દ્વારા જ પ્રાપ્ત થાય છે. સ્વચ્છતા એ સારી ગુણવત્તા છે. એફોરિજમમાં જણાવવામાં આવ્યું છે કે, “સ્વચ્છતા ભગવાનની આગળ છે અને તે સ્વાસ્થ્ય અને સૌંદર્ય જેવા અન્ય આદર્શોમાં મહત્વનો ફાળોઆપે છે.” જાળવણી અને નિવારણના હેતુ માટે ચાલુ પ્રક્રિયા અથવા ટેવોના સમુહ પર ભાર મુકતા, સ્વચ્છતાની વિભાવના શુદ્ધતાથી અલગ પડે છે. સ્વચ્છતા પ્રદૂષકોથી મુક્ત થવાની શારીરિક, નૈતિક તેમજ ધાર્મિક સ્થિતિ છે. સ્વચ્છતા સામાન્ય રીતે એક વ્યક્તિ કે પદાર્થની ગુણવત્તા હોય છે. જ્યારે સ્વચ્છતા એક સામાજિક પરિમાણ અને દિશા ધરાવે છે અને ક્રિયા પ્રતિક્રિયાની સિસ્ટમ સૂચિત કરે છે. જેકબ બર્કાર્ટના મતાનુસાર, “સ્વચ્છતા એ આપણા સામાજિક પૂર્ણતાની આધુનિક કલ્પના માટે અનિવાર્ય છે.” ઘર કે કાર્યસ્થળ પર સ્વચ્છતા પ્રદર્શિત કરવાનું કહેવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે તે શુદ્ધતા નથી, સ્વચ્છતા એ લોકોની લાક્ષણિકતા પણ હશે જે સ્વસ્થતા જાળવે છે અથવા ગંદકી અટકાવે છે.
૩. ગાંધીજીના મતે સ્વચ્છતા
સ્વચ્છતા આજે ભારત દેશનું અનિવાર્ય અંગ બની ગયું છે. સ્વચ્છ ભારતનું સ્વપ્ન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જોયું હતું. જેના સંદર્ભે ગાંધીજીએ કહ્યું હતું, ‘સ્વચ્છતા, સ્વતંત્રતાથી વધુ જરૂરી છે.’ ગાંધીજીના સ્વપ્નથી પ્રેરણા મેળવીને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના ૧૪૫ માં જન્મદિન (2 october 2014) પ્રસંગે જાતે રોડપર કચરો સાફકરીને ‘સ્વચ્છ ભારત અભિયાન’ની શરૂઆત કરી.
ગાંધીજીના મતે સ્વચ્છતા અને સમાજને સીધો સંબંધ છે. કોઈ પણ સમાજ આર્થિક, બૌદ્ધિક, ધાર્મિક કે સાંસ્કૃતિક રીતે કેટલો સમૃદ્ધ છે તે જાણવા માટે તે સમાજે સ્વીકારેલા મૂલ્ય પર નિર્ભર હોય છે. શુદ્ધતા અને પવિત્રતા તથા દિવ્યતા સાથે જોડનારા સમાજની પરિસ્થિતિ આનાથી કાંઈ વિપરીત જોઈ રહ્યા છીએ. ગંદકી એ કુદરતી સર્જન નથી પરંતુ માનવ સમાજે સર્જેલી તારાજી છે. અસ્વચ્છતા, ગંદકી, દુર્ગંધ આપણા દેશની એક મોટી સામાજીક સમસ્યા છે. આ માટે ગરીબી, વસ્તી વધારો તેમજ સંસાધનોની અછત અમુક અંશે જવાબદાર હશે પરંતુ સૌથી મહત્વનું પરિબળ તો લોકોની ગંદી આદતો, સ્વચ્છતા માટેની જાગૃતિનો અભાવ તેમજ મુખ્ય તો શિક્ષણનો અભાવ છે. આપણા સમાજમાં પવિત્રતાને જેટલું મહત્વ તેટલું મહત્વ સ્વચ્છતાને અપાયું નથી. જાહેર ધાર્મિક સ્થળો, મેળાવડા વગેરે મહામારી ફેલાવે તેવી ગંદી જગ્યા હોય એ માનવ ભીડ પાસે પવિત્રતા જેટલો આગ્રહ સ્વચ્છતા અંગેનો હોતો નથી. કાગળના ડૂચા, પ્લાસ્ટિક ફેંકવાની કુટેવ, પાન-મસાલા ખાઈને પિચકારી મારવાની કુટેવ, ખુલ્લામાં શોંચ પેશાબની કુટેવ, ઘરનો કચરો સોસાયટી કે ગલી બહાર નાખવાની કુટેવ સામાન્ય અને સર્વસ્વીકૃત બાબત બની ગઈ છે. જો આમ જ ચાલતું રહ્યું તો આપણે આપણા દેશને સંપૂર્ણ સ્વચ્છ બનાવી શકીશું કે કેમ એ એક પ્રશ્ન છે. આવી સામાજિક કુટેવો સામે સાચી સમજ અને જાગરૂકતા ફેલાવવાની તાતી જરૂર છે.છેલ્લા કેટલાક વર્ષોથી ગંદકી દૂર કરવા કે સ્વચ્છતા જાળવવા સરકારી આયોજનો થાય છે. આમ તો ગંદકી દૂર કરવાના પ્રયત્નો કરતાં સ્વચ્છતા જાળવવા પ્રયત્ન વધુ અસરકારક બને અને તેના માટે સરકારી કાયદા-વાયદા- ફાયદા નહીં પરંતુ સમાજ એક સાથે બેઠો થાય અને સ્વચ્છતાના પાઠ સામાજિકરણનો ભાગ બનેતો આ દિશામાં ચોક્કસ સફળતા મળી શકે. આપણા સમાજમાં મોટેભાગે ઘરમાંથી કે દુકાન કે ઓફિસમાંથી કચરો કાઢીને બહાર ફેંકવાનો, મારું આંગણું સ્વચ્છ કરીને અન્યત્ર કચરો ફેંકવાની પ્રથા ટેવ સ્વરૂપે છે. કચરાનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કે સુઝ કેળવવાની ઉણપ ગંદકી તરફ લઈ જાય છે.
ગાંધીજીના મતે અસ્વચ્છતા એ રોગની જનેતા હતી. ગંદકી દ્વારા રોગો વકરે છે તેવી તેમની સમજ હતી. તેમણે માત્ર શરીરની જ નહીં, પરંતુ શરીર, મન અને આત્માની સફાઈ વિશે ચિંતન કર્યું હતું. તેઓ સ્પષ્ટપણે એમ માનતા હતા કે જો કોઈ વ્યક્તિ સ્વચ્છ ન હોય તો તે સ્વસ્થ ન જ હોય અને જે સ્વસ્થ ન હોય તેની મનોદશા પણ અસ્વસ્થ જ હોવાની. તેથી તેમણે તારીખ ૨૬-૫-૪૬ના રોજ હરિજન બંધુમાં લખ્યું છે કે શરીરની ચોખ્ખાઈ, ઘરની ચોખ્ખાઈ અને ગામની સ્વચ્છતા હોય, યુક્તાહાર અને ઘટતી કસરત હોય, ત્યાં ઓછામાં ઓછા રોગ થાય છે, અને ઉપર ગણાવેલી સફાઈ સાથે જ દિલની સફાઈ હોય, તો રોગ અસંભવિત બની જાય, એમ કહી શકાય. દિલની સફાઈ રામનામ વગર ન થાય. આટલી વાત ગામડાંના લોકો સમજી જાય, તો વૈધ, હકીમ કે દાક્તરની જરૂર રહેતી નથી (હરિજન બંધુ, ૨૬-૫-૪૬, ૧૫૭). તેઓ કહેતા કે દાક્તરોના મત મુજબ સો માંથી નવ્વાણું જણ ગંદકીથી, ન ખાવાનું ખાવાથી અને ખાવો જોઈએ તેવો ખોરાક ન મળવાથી અને ભૂખથી મરે છે. તેથી જ તો તેઓ સ્પષ્ટ પણે એમ માનતા હતા કે જો આપણે સ્વચ્છતાના નિયમો જાણી લઈશું, તેનું આચરણ કરીશું તો આપણે જ આપણા દાક્તર બની જઈશું. આ સાથે જ તેમણે કહ્યું છે કે તમે જે પાણી પીઓ, જે ખોરાક ખાઓ ને જે હવા લો, તે બધાં તદ્દન સ્વચ્છ હોય. વળી કેવળ પંડની ચોખ્ખાઈ રાખીને સંતોષ ન માનતા તમારે પોતાને માટે જેટલી ચોખ્ખાઈ રાખો તે જ પ્રમાણમાં તમારી આજુબાજુનાં વાતાવરણને તેમ જ જ્ગ્યાને આ ત્રિવિધ ચોખ્ખાઈનો રંગ લગાડો (ગાંધીજી, ૧૯૫૯). વળી આપણે માત્ર આપણી જ સ્વચ્છતાનું ધ્યાન રાખીએ અને આપણી સ્વચ્છતાને જાળવતા બીજાની સ્વચ્છતાને જોખમાં મૂકતા હોઈએ તો તે વાતને બાપુએ બેઈમાની ગણાવી છે. જો આમ થાય તો તો આપણા ઘર કે શરીર સિવાયનું બધું જ અસ્વચ્છતાથી ભરાઈ જાય તેમ ગાંધીજી માનતા હતા.
ગાંધીજી વિદ્યાર્થીઓને સ્વચ્છતાગ્રહનું એક અગત્યનું પરિબળ ગણતા હતા. વિદ્યાર્થીઓ વડે સ્વચ્છાગ્રહ વધુ દૃઢ બની શકે છે તેવી તેમની માન્યતા હતી. વિદ્યાર્થી જીવનમાં સ્વચ્છતા એ શીખવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો ગુણ છે તેવી તેમની સમજ હતી. આથી જ તેઓ કહેતા કે વિદ્યાર્થીઓ આજુબાજુનાં ગામમાં સફાઈનું તેમ જ ભંગીકામ કરે (પ્રભુ, ૧૯૬૩; પૃ.૨૧૬). લાંબી રજાઓ દરમ્યાન વિદ્યાર્થીઓ ગામડામાં રહીને પ્રૌઢશાળાઓ ચલાવશે અને ગ્રામવાસીઓને સ્વચ્છતાના નિયમો શીખવશે.
ગામડાના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ આપવાની કોઈ યોજનાનું ઠેકાણું ન હતું ત્યારે હાઈસ્કૂલના શિક્ષણનું તો પૂછવું જ શું ? હાઈસ્કૂલનું શિક્ષણ એ સમયે ગામડા વિદ્યાર્થીઓ માટે એક સપનું હતું તે સમયે ગાંધીજીએ કહેલું કે જો વિદ્યાર્થીઓને સુઘડ ઘરની તાલીમ મળી હશે તો એ શિક્ષણની ખોટ એમને કદી સાલવાની નથી. સુઘડ ઘરના જેવી કોઈ નિશાળ નથી, પ્રામાણિક સદ્ગુણી માતા-પિતાની બરોબરી કરી શકે એવો કોઈ શિક્ષક નથી (હરિજન બંધુ, ૨૪-૧૧-૩૫, પૃ. ૨૯૧). તેથી જ તો તેમણે દક્ષિણ આફ્રિકામાં નિવાસ દરમિયાન જહોનિસબર્ગમાં પોતાના ઘરે નોકર રાખ્યો હોવા છતાં પાયખાનાની કોટડી અને બેઠક સાફ કરવાનું પોતાના માથે સ્વીકાર્યું હતું અને બાળકોને પણ આ સફાઈ કરવાની તાલીમ આપી હતી. જેનું પરિણામ નિહાળતા તેમણે લખ્યું છે કે આ બાબતને કારણે મારા એક પણ દીકરાને પાયખાનાં સાફ કરવાની સૂગ નથી રહેલી, ને આરોગ્યના સામાન્ય નિયમો પણ તેઓ સહેજે શીખ્યા છે (ગાંધી, ૧૯૨૭; પૃ. ૩૦૪). આંતરિક સ્વચ્છતા એ પહેલા શીખવવી જોઈએ બાકીનું બધું જ શિક્ષણ પછી આપવું જોઈએ તેમ તેમના સ્વચ્છતા વિશેના ચિંતનમાંથી ફલિત થતું હતું. તેમણે શિક્ષણમાં વાચન, લેખન અને ગણનને અગ્રસ્થાન આપ્યું હતું, પરંતુ શિષ્ટાચાર અને સ્વચ્છતાને તેનાં કરતા પણ પહેલું સ્થાન આપ્યું હતું.
તેમણે પોતાના આશ્રમોની સ્થાપના વખતે પણ તે બાબતનો ખાસ ખ્યાલ રાખ્યો હતો કે જ્યા સ્વચ્છતા હોય ત્યાં જ આશ્રમ બને. તેથી તેમણે આશ્રમની જગા શહેર કે ગામથી દૂર હોય તેવું વલણ રાખ્યું હતું. જ્યારે સાબરમતી આશ્રમની સ્થાપના કરી ત્યારે શ્રી પૂજાભાઈ હીરાચંદ જેલની નજદીકની જમીન શોધી લાવ્યા હતા. તે સમયે બાપુ કહે છે કે તે જેલની નજીક છે એ મારે સારું ખાસ પ્રલોભન હતું. એટલું તો હું જાણતો જ હતો કે હંમેશા જેલનું સ્થાન જ્યાં આસપાસ સ્વચ્છ જગ્યા હોય ત્યાં શોધવામાં આવે છે (ગાંધી,૧૯૨૭; પૃ. ૪૧૯). આશ્રમવાસીઓમાં સ્વચ્છતાના ગુણોનું સિંચન કરનારા બાપુ કહે છે કે રાષ્ટ્રીય કે સામજિક સફાઈને આપણે જરૂરી ગુણ માન્યો નથી ને કેળવ્યો નથી. આપણે રિવાજથી અમુક ઢબે નાહીએ છીએ એટલું જ, બાકી જે નદી, તળાવ કે કૂવાને કાંઠે આપણે શ્રાદ્ધ ને એવા બીજા ધર્મવિધિ કરીએ છીએ, ને જે જળાશયોમાં આપણે પવિત્ર થવાને સ્નાન કરીએ છીએ તેમનું પાણી બગાડતા કે ગંદુ કરતાં આપણને છીત થતી નથી. આપણી આ ખામીને હું એક મોટો દુર્ગુણ ગણું છું અને આપણાં ગામડાંઓની તેમ જ આપણી પવિત્ર નદીઓના પવિત્ર કાંઠાઓની નામોશી ઉપજાવે તેવી અવદશા અને ગંદવાડમાંથી પેદા થતા રોગો આપણે તે દુર્ગુણના ફળરૂપે ભોગવીએ છીએ (ગાંધીજી, ૧૯૫૯; પૃ. ૧૯-૨૦). ગામડાનાં તળાવના પાણીને લોકો નાહવા, કપડાં ધોવા અને પીવાં તથા રાંધવા માટે ફાવે તેમ વાપરે છે. ઘણાં ગામડાંનાં તળાવનો ઢોર પણ ઉપયોગ કરે છે. ભેંસ ઘણી વાર એમાં આળોટતી દેખાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગામડાંનાં તળાવનો આટલો ઘોર દુરુપયોગ થયો હોવા છતાં ગામડાં હજુ ચેપી રોગથી નાશ પામ્યાં નથી તે બદલ તેઓ આશ્વર્ય પણ વ્યક્ત કરતા હતા. તેઓ કહેતા કે નદીઓ એતો આપણા દેશની નાડીઓ જેવી છે, જો તેમાં ગંદકી કરવાનું ચાલું રાખીશું તે એ દિવસ દૂર નથી કે જ્યારે નદીનું પાણી ઝેર બની ગયું હશે. અને જો આમ થશે તે માત્ર સ્વસ્થતા જ નહીં પણ આપણી સભ્યતા પણ નાશ પામશે. બાપુ માત્ર વ્યક્તિગત સ્વચ્છતાના જ નહીં પણ સામાજિક અને રાષ્ટ્રીય સ્વચ્છતાના હિમાયતી હતા.
- સ્વચ્છતાગ્રહ અંગે ગાંધીજીનું ચિંતન
- જે નગરપાલિકા પાસે નમૂનેદાર જાજરૂઓની સગવડ ન હોય તથા જેની ગલીઓ અને મહોલ્લાઓ ચોવીસે કલાક સ્વચ્છ ન રહેતા હોય તે નગરપાલિકા ટકી રહેવાને લાયક નથી.’
- ‘જ્યાં સુધી તમે ઝાડુ અને ડોલ હાથમાં લઈને નીકળી નહીં પડો ત્યાં સુધી તમે તમારા ગામને કે શહેરને સ્વચ્છ કરી શકવાના નથી.’
- ‘આપણે સ્વચ્છતાના નિયમો જાણી લઈને પાળીએ અને યોગ્ય ખોરાક લઈએ, તો આપણે પોતે જ આપણા દાક્તર બની ગયા.’
- ‘વિદ્યાર્થીઓને અક્ષરજ્ઞાન આપવા ઉપરાંત જો તમે તેઓને રસોઈ કરવામાં તથા સફાઈકામ કરવામાં નિષ્ણાત બનાવશો તો તમારી સંસ્થાને તમે આદર્શ સંસ્થા બનાવી શકશો.’
- ‘જો તમે જાતે જ તમારા ભંગી બની જશો તો તમે તમારી આજુબાજુની જગ્યા ચોખ્ખી રાખી શકશો. વિક્ટોરિયા ક્રોસ જીતવા માટે જેટલી હિંમત જોઈએ તેના કરતાં નિષ્ણાત ભંગી થવા માટે કંઈ ઓછી હિંમતની જરૂર નથી.’
- ‘રાષ્ટ્રીય કે સામજિક સફાઈને આપણે જરૂરી ગુણ માનવો જોઈએ.’
- ‘માત્ર શરીરની જ નહીં, મન અને આત્માની સફાઈ પણ જરૂરી છે જે રામનામ વગર શક્ય નથી.’
- ‘સુઘડ ઘર જેવી કોઈ નિશાળ નથી.’
- ‘કલમ કે સીસાપેન ચલાવનારા લોકો જેટલી સહેલાઈથી અને ગર્વથી મળી રહે છે તેટલી જ સહેલાઈથી અને ગર્વથી સાવરણી અને પાવડો ચલાવવાને તત્પર અને ઉત્સાહી એવા ગ્રામસેવકો મળી રહેવા જોઈએ.’
- ‘જો કોઈ વ્યક્તિ સ્વચ્છ નહીં રહે તો તે સ્વસ્થ નહીં રહી શકે.’
- ‘શૌચાલયો પણ દિવાનખંડ જેવા જ સ્વચ્છ હોવા જોઈએ.’
૪. સારાંશ
ઉપરોક્ત ચર્ચાના આધારે કહી શકાય કે સ્વચ્છતા અંગે ગાંધીજી ના વિચારો એ સમાજમાં જાગૃતિ ફેલાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે જો આજે પણ ગાંધી વિચારને અનુસરીને તેનું પાલન કરવામાં આવે તો સમાજમાં જુદી જુદી બીમારીઓ કે કોવીડ -૧૯;જેવી મહામારી સમાજમાં ના આવે તેમ કહી શકાય.
Reference
૧. અર્થસંકલન ના વિવિધ લેખો
૨. યોજનાના વિવિધ લેખો