ડૉ.નિશા એન.કાવર
આસી.પ્રોફેસર,એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગોંડલ
VOLUME-13 / YEAR -13 / ISSUE –3 / MARCH-2025
Abstract : પ્રસ્તુત સંશોધન પત્રમાં ગોંડલ શહેરમાં પીવાનું સ્વચ્છ પાણી અને સ્વચ્છતા પર સંશોધન હાથ ધરવામાં આવેલ છે, જેમાં ગોંડલ નગરપાલિકાના આગોતરા આયોજનને કારણે ગોંડલ શહેરને ભવિષ્યમાં પણ પીવાનાં સ્વચ્છ પાણી અંગે કોઈ પણ ચિંતા જણાતી નથી પરંતુ સ્વચ્છતા બાબતે ખાસ કરીને સ્લમ એરિયામાં નગરપાલિકા દ્વારા ખાડા વાળા શૌચાલય તૈયાર કરેલ હોવા થી સમસ્યા ઉભી થયેલ છે, જેના [પરિણામે ત્યાં રહેતા લોકોને ખુલ્લામાં શૌચ જવા મજબુર કરે છે. ખુલ્લામાં શૌચ જવાને કારણે ખાસ કરીને મહિલાઓની ગરિમા હણાય છે અને અનેક પ્રકારના ગંભીર રોગો થવાનો ભય પણ રહેલ છે. UNDP SDGs -૬ જો હાંસલ કરવો હોય તો ગોંડલ શહેરએ સ્વચ્છતા પર ખાસ કરીને સ્લમ એરિયા પર થોડું વધુ કામ કરવાની જરૂર જણાય છે.
Key word : સ્વચ્છ પાણી , સ્વચ્છતા, પર્યાવરણ, મહિલા ગરિમા
પસ્તાવના:
આકાશમાં રહેલું જળ, સરિતાઓમાં રહેલું જળ, કૂવામાં રહેલું જળ-આ બધાં જળ, જેનો સ્રોત સમુદ્રમાં છે, તે પવિત્ર જળ મારું રક્ષણ કરો. -ૠગ્વેદ
‘જળ એ જીવન છે’
માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં પાણીએ હમેંશા મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. સંસ્કૃતિની શરૂઆત નદી કિનારે થઈ હતી અને આપણી સભ્યતા સિંધુ ઘાટીની છે, વિશ્વની અન્ય સભ્યતાઓ પણ નાઈલ, યુક્રેટીસ, હો આંગ હો વગેરે નદીઓના કિનારે જ વિકાસ પામી હતી.[1] પાણી એ કુદરત તરફથી જીવસૃષ્ટિને મળેલી અણમોલ ભેટ છે. આજે પાણીની અછત, નબળી ગુણવત્તા અને સ્વચ્છતા(sanitation) એ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે.
કુદરતી સંસાધનો જેવાં કે – જમીન, જળ, જંગલો અને સમુદ્ર વગેરે આર્થિક વૃદ્ધિ-વિકાસ માટેનાં અગત્યનાં પરિબળો છે. તેમાં પણ કૃષિ અને ગ્રામ વિકાસ માટેનાં તો ખૂબજ અગત્યનાં પરિબળો ગણાય. આપણે સૌ જાણીએ છીએ કે, ઝડપી આર્થિક વિકાસ સાધવાની લ્હાયમાં પાણી, જમીન, જંગલો, જળસૃષ્ટિ અને વન્ય સૃષ્ટિ વગેરેની નબળી ગુણવત્તા અને અછત ઊભી થઈ છે. આ બધાં કુદરતી સંસાધનોમાંથી પાણી એ ખૂબજ મહત્ત્વનું એક છે. માનવજાતિ માટેની મૂળભૂત જરૂરિયાત અને મૂલ્યવાન રાષ્ટ્રીય સંપત્તિ છે. (રાષ્ટ્રીય જળ નીતિ-૨૦૦૨, ભારત સરકાર) પૃથ્વીની સપાટી પર લગભગ ૭૦% ભાગમાં પાણી આવેલ છે અને તેવું જ માનવ શરીરમાં પણ છે. તેથી નિઃશંકપણે આપણે પાણીના હયાત પુરવઠાની ચિંતા કરવાની થાય. કારણ કે, તેની અવેજી નથી. વિશ્વના કુલ પાણીના જથ્થામાંથી ૯૭.૩% ભાગ ખારા સમુદ્રનો છે, જે કૃષિક્ષેત્ર તેમજ પીવા લાયક પાણીના સંદર્ભમાં ઉપયોગી નથી. બાકીના ૨.૭% પાણીમાંથી ૧.૮% પાણી ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં બરફના સ્વરૂપમાં સચવાયેલ છે. જયારે ૦.૯% પાણી જીવસૃષ્ટિ માટે ઉપલબ્ધ છે. કુલ પીવા લાયક પાણીમાંથી ૦.૩% વરસાદનું અને ૦.૬% ભૂગર્ભજળ છે.[2] આ સંસાધન માનવીની આરોગ્ય, ખેત ઉત્પાદન, ઔધોગિક વિકાસ, જળવિધુત તેમજ ઈકો. સિસ્ટમ કન્ઝર્વેશન માટે ખૂબ જ ઉપયોગી છે, તેથી જળનો ઉપયોગ સમજીને કરવો માનવજાતિ માટે હિતાવહ છે.
સેન્ટ્રલ વોટર કમિશનના જણાવ્યાનુસાર “પાણી એ એવું સંસાધન છે કે, જેને આપણે કોઈ ટેક્નોલોજી દ્વારા કે અન્ય કોઈ રીતે ઉત્પન્ન કરી શકતા નથી. તેમજ તેમાં આપણે આપણી જરૂરિયાત મુજબ ઉમેરો પણ કરી શકતા નથી. ભારત સરકાર દ્વારા ૧૯૮૭માં જાહેર કરવામાં આવેલ જળનીતિમાં જણાવાયું છે કે, પાણી એ પ્રાથમિક કુદરતી સંસાધન છે કે જે માનવીની પાયાની જરૂરિયાત અને રાષ્ટ્રની મૂલ્યવાન અસ્ક્યામત છે” (ભારત સરકાર, મીનીસ્ટ્રી ઓફ ઈન. એન્ડ બ્રોડકાસ્ટીંગ-ઈન્ડિયા-૨૦૦૦). Ground water is probably India’s most valuable and perhaps its most vulnerable water resource.[3]
જળસ્રોતો માનવવિકાસ, આરોગ્ય, ખાદ્યસુરક્ષા, ઔદ્યોગિક ઉત્પાદન અને જૈવિક પર્યાવરણની સમતુલા વગેરેમાં ભાગ ભજવતાં હોવાના કારણે રાજકીય તેમજ વ્યક્તિગત સ્તરે પર્યાવરણીય સુરક્ષા જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે, ( માનવ વિકાસ અહેવાલ ૨૦૦૬) જે જળસ્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. માનવ સુરક્ષા સાથે જળ ઉપલબ્ધિના સંબંધને અનુમોદીત કરવામાં આવે છે (યુ.એન.ડી.પી. ૨૦૦૯). એનું કારણ એ છે કે, જળની અછતથી કદાચ યુદ્ધ ન સર્જાય પણ ડિહાઈડ્રેશન સંબંધિત મૃત્યુ, ખાદ્ય ઉત્પાદનમાં તથા રોજગારીની તકોમાં ઘટાડો વગેરેને કારણે અસુરક્ષાની સ્થિતિ સર્જાય. પર્યાવરણીય અસરો, માનવજીવન, માનવસુખાકારી અને ગૌરવ જેવા માનવ સુરક્ષાનાં પાસાંઓ ઉપર અસર કરે છે.[4]
ભારતની જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની જુદી જુદી ગંભીર સમસ્યાઓમાંની એક છે તે પાણીની અછત અને નબળી ગુણવત્તા અને સ્વચ્છતાનો અભાવ છે. આ સમસ્યા દિન પ્રતિદિન વધુને વધુ ગંભીર બનતી જાય છે. વસ્તી વધારા સાથે કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે પાણીની માગમાં ઝડપથી વધારો થયો છે. સામે પક્ષે પાણીનો પુરવઠો માગના પ્રમાણમાં ન રહેવાથી માગ-પુરવઠાની અસમતુલા ઊભી થઈ છે અને ગુજરાત સહિતના ઘણાં રાજયોમાં પાણીની અતિ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. દેશનાં અનેક રાજયોમાં પીવાના પાણીના સ્તરમાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે.
આમ, વિશ્વ એ આર્થિક વિકાસની આંધળી દોડમાં સૃષ્ટિને ખુબ જ નુકસાન પહોંચાડેલ છે. આ નુકસાનની ભરપાઈ કરવા હવે વિશ્વ નિભાવ પાત્ર વિકાસનું મહત્ત્વ સમજીને તે દિશામાં આગળ વધેલ છે. આથી UNDP ૧૭ SDGs અને ૧૬૯ લક્ષ્યાંકો સપ્ટેમ્બર ૨૦૧૫માં મળેલી સંયુક્ત રાષ્ટ્રની ઐતિહાસિક મહાસભામાં ૧૯૩ સભ્ય રાષ્ટ્રો દ્વારા સ્વીકારવામાં આવેલા ટ્રાન્સફોર્મિંગ અવર વર્લ્ડ : ધ ૨૦૩૦ એજન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો એક ભાગ છે, જે ૧ જાન્યુઆરી ૨૦૧૬ થી અમલમાં આવી ચુક્યો છે. આ SDGsમાં જે ૬ઠ્ઠો ગોલ છે તે તમામ માટે સ્વચ્છ પાણી અને સેનિટેશનની ઉપલબ્ધતા અને સાતત્ય પૂર્ણ સંચાલનને સુનિશ્ચિત કરવું છે. જે અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં બધા માટે સુરક્ષિત અને પોષાય તેવું પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું. સાર્વત્રિક અને ન્યાયપૂર્ણ વપરાશ પ્રાપ્ત અને વર્ષ ૨૦૩૦ સુધીમાં તમામ માટે ખુલ્લામાં મળમૂત્ર ત્યાગનો અંત આણવો તેમજ મહિલાઓ, યુવતીઓ અને પીડિત સ્થિતિમાં રહેનારાઓની જરૂરિયાત પરત્વે વિશેષ ધ્યાન આપવું.
૧૯૯૨માં રિયો ડી જાનેરોમાં પર્યાવરણ અને વિકાસ પર સયુંકત રાષ્ટ્રની પરિષદ યોજાઈ હતી, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ એક ઠરાવ પસાર કર્યો હતો. દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી ૧૯૯૩ થી લોકો પાણી સરંક્ષણનું મહત્ત્વ સમજે તે હેતુ થી ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસ ઉજ્જવામાં આવે છે.
ગુજરાત રાજયનો પશ્ચિમ વિસ્તાર કે જેને આપણે સૌરાષ્ટ્ર તરીકે ઓળખીએ છીએ. જયાં ૪૦૦ મી.મી. જેટલો વરસાદ માંડ પડે છે. સાથે સપાટી પરનું પાણી પણ અસમાન રીતે વહેંચાયેલું જોવા મળે છે. ગુજરાતમાં વસ્તીના ૧૫ ટકા વસ્તી ધરાવતું દક્ષિણ ગુજરાત સપાટી પરના કુલ પાણીના ૭૧ ટકા જેટલું પાણી ધરાવે છે, જયારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રાજયની વસ્તીના ૬૬ ટકા વસ્તી માટે માત્ર ૨૦ ટકા સપાટી પરનું પાણી ઉપલબ્ધ છે.[5]સૌરાષ્ટ્રમાં ખાસ કોઈ મોટી સિંચાઈ યોજનાઓ આવેલી નથી, સૌની યોજના દ્વારા પિવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
સંશોધન સબંધિત સાહિત્ય સમીક્ષા
૧) S.D.Goal -૬ ના “પાણી અને સ્વાસ્થ્ય અંગેનો UNના જુલાઈ ૨૦૨૧ ના રીપોર્ટ” અનુસાર
SDG નો ઉદેશ ૨૦૩૦ સુધીમાં સાર્વત્રિક પાણી અને સેનિટેશનનું વ્યવસ્થાપન અને ઉપલબ્ધતા સિદ્ધ કરવાનું છે. વિશ્વના ૨૦૦ કરોડ લોકોને (વિશ્વની ૨૬% વસ્તી) સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન હતું, વિશ્વના ૩૬૦કરોડ લોકો (વિશ્વની કુલ વસ્તીના આશરે ૪૬%) ને સેનિટેશન વ્યવસ્થા ઉપલબ્ધ નથી, અને ૪૯.૪ કરોડ લોકો ખુલ્લામાં શૌચ માટે મજબુર હતા. ૩૦૦ કરોડથી વધુ લોકોને ઉપલબ્ધ પાણીની ગુણવત્તા અંગે માહિતી ઉપલબ્ધ ન હતી, જેનો અર્થ એવો થાય કે આ લોકો સ્વાસ્થ્ય સંબંધિત જોખમનો સામનો કરે છે, કેમકે તેઓ દ્વારા પાણી માટે ઉપયોગમાં લેવાતા જળ સ્રોતો જેવા કે નદી, તળાવ અને ભૂગર્ભ જળની ગુણવત્તા ચકાસેલ ન હતી.
૨૦૧૫ થી વૈશ્વિક સ્તરે પાણીના ઉપયોગની કાર્યક્ષમતામાં ૧૦% સુધારો થયો છે. ૨૩૦ કરોડ લોકો જળ તંગી વાળા વિસ્તારોમાં રહે છે, જેમાંથી ૭૩.૩ કરોડ લોકો તીવ્ર જળ અછત અનુભવે છે.
૨) “Drinking water and sanitation in the slums of Gujarat” માં નીતિ મહેતા અને અનીતા આર્યા લખે છે કે ૨૦૦૧ અને ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ શહેરી વસ્તીની ટકાવારી અનુક્રમે ૫૦% અને ૫૩% છે. શહેરી વિસ્તારોમાં પછાત વિસ્તારોમાં પાઈપ લાઈનથી પાણીનો પુરવઠો મેળવતા ઘરોની સંખ્યા ૬૪% હતી જયારે કુલ શહેરી અને કુલ બિન પછાત શહેરી ઘરોમાં નળથી પાણી મેળવતા ઘરોની ટકાવારી ૮૪% અને ૮૫% છે. જો કે ગુજરાતમાં પછાત વિસ્તારોની પાણી અંગેની સ્થિતિ રાષ્ટ્રીય સરેરાશ (૫૬%) કરતા સારી છે.
આ સંશોધન પત્ર (૨૦૦૧-૨૦૧૧ ના આંકડા) અનુસાર રાષ્ટ્રીય કક્ષાએ સરેરાશ ૪૪% સ્લમ ઘરોમાં પીવાનાં પાણી મળતું નથી, જયારે ગુજરાતમાં સરેરાશ ૩૬% સ્લમ ઘરોમાં પીવાનું પાણી મળતું નથી, ગુજરાતમાં પછાત વિસ્તારોમાં નળ દ્વારા પાણી મેળવતા ઘરોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે. ઝૂંપડપટ્ટીના વિસ્તારોના ઘરોમાં પાણીની સ્થિતિ સામાન્ય વિસ્તારો કરતા સારી છે. કારણ કે સ્લમ ઈમ્પૃવમેન્ટ પ્રોગ્રામની જોગવાઈ ઓનો સારી રીતે અમલ કરવામાં આવેલ છે.
3) વ્યક્તિ દીઠ પાણીની ઉપલબ્ધતા દેશની વસ્તી પર આધારિત છે અને ભારત માટે વસ્તી વધારાને કારણે દેશમાં માથાદીઠ પાણીની ઉપલબ્ધતા ઘટી રહી છે. વર્ષ ૨૦૦૧ અને ૨૦૧૧માં સરેરાશ વાર્ષિક માથાદીઠ પાણીની ઉપલબ્ધતા અનુક્રમે ૧૮૧૬ ઘન મીટર અને ૧૫૪૫ ઘન મીટર તરીકે આંકવામાં આવી હતી જે અનુક્રમે ૨૦૨૧ અને ૨૦૩૧માં ૧૪૮૬ઘન મીટર અને ૧૩૬૭ ઘન મીટર થઈ શકે છે.
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય મુજબ શહેરી પાણી પુરવઠા માટે માપદંડ તરીકે ૧૩૫ લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ સૂચવવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારો માટે જળ જીવન મિશન હેઠળ ૫૫ IPCDની લઘુત્તમ સેવા ડિલિવરી નક્કી કરવામાં આવી છે, જેને રાજ્યો દ્વારા ઉચ્ચ સ્તરે વધારી શકાય છે.
નેશનલ કમિશન ફોર ઈન્ટીગ્રેટેડ વોટર રિસોર્સીસ ડેવલપમેન્ટ (NCIWRD)ના અહેવાલમાં જણાવ્યા મુજબ વર્ષ ૧૯૯૭-૯૮ માટે કુલ પાણીના વપરાશમાંથી સિંચાઈ માટે વપરાતા પાણીની ટકાવારી ૮૩.30% હતી. વધુ માં NCIWRD ના અહેવાલ મુજબ ઉચ્ચ માગની સ્થિતિ હેઠળ વર્ષ ૨૦૨૫ માટે કુલ પાણીની ટકાવારી ૭૨.૪૮% હોવાનો અંદાજ છે.
આ માહિતી કેન્દ્રીય જલ શક્તિ અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી શ્રી રતનલાલ કટારીયાએ ૦૨ માર્ચ ૨૦૨૦ના રોજ રાજ્ય સભામાં એક લેખિત જવાબમાં આપી હતી.
૪) પાણીનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે ૨૦૧૫-૨૦૧૬ થી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના લાગુ કરી, આ યોજના અંતર્ગત ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬નાં સમયગાળામાં PMKSY વિસ્તરણ માટે ભારત સરકાર દ્વારા ૯૩૦૬૮.૫૬ કરોડ રૂપિયા મંજુર કરેલ છે. ત્યાર બાદ કમાંડ એરિયા ડેવલપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ અને બ્યુરો ઓફ વોટર યુઝ એફીસીયન્સી દ્વારા ખેતી અને ઉધોગ ક્ષેત્રમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહન, નિયમન અને નિયંત્રણ કરવામાં આવ્યા. ૪-૩-૨૦૨૩ ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા જળ શક્તિ અભિયાન શરુ કરવામાં આવ્યું.
આ માહિતી ૦૫-૦૨-૨૦૨૪ (૬:૦૫) જળ શક્તિ રાજ્યમંત્રી શ્રી વિશ્વેશ્વર ટુડુ દ્વારા રાજ્યમાં એક લેખિત જવાબમાં આપી હતી.
૫) ભારતમાં વર્ષ ૨૦૦૦માં ૧૪% વસ્તીને ઓછામાં ઓછી મૂળભૂત સ્વચ્છતાની સુવિધા ઉપલબ્ધ હતી. જે અન્ય દેશો કરતાં તુલનાત્મક રીતે ઘણી ઓછી હતી. પરંતુ ત્યારબાદ ભારતે બે દાયકામાં ખુબ સારી એવી પ્રગતિ કરેલ છે,
સંયુક્ત રાષ્ટ્રનાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ -૬.૨ હેઠળ ભારતનો ધ્યેય ૨૦૩૦ સુધીમાં મહિલાઓ, છોકરીઓ અને સંવેદનશીલ જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્વચ્છ ભારત મિશન અને ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનું લક્ષ્યાંક બનાવ્યું છે, જે અંતર્ગત ખુલ્લામાં શૌચ કરતા લોકોનું પ્રમાણ ૧૯૯૩માં ૭૦% હતું જે ઘટીને ૨૦૨૧ સુધીમાં ૧૯% થયું.
Nileena Suresh (2024), ‘Access to toilets in India.’ Published on Data for India. Retrieved from https://www.dataforindia.com/sanitation/ [Online Resource].
શોધપત્રનાં હેતુઓ :
૧) ગોંડલ શહેરને પીવાનું સ્વચ્છ પાણી મળે છે કે કેમ તે જાણવું.
૨) ગોંડલ શહેરમાં સ્વચ્છતાની સુવિધા છે કે કેમ તે જાણવું.
પરિકલ્પના :
૧) ગોંડલ શહેરને પીવાનું પુરતું પાણી મળતું નથી.
૨) ગોંડલ શહેરમાં સ્વચ્છતાની સુવિધા નથી.
માહિતી એકત્રીકરણના સ્રોત :
પ્રસ્તુત સંશોધન અભ્યાસમાં પ્રાથમિક માહિતી મેળવવા માટે પ્રશ્નાવલી પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવેલ છે. સંશોધન હેતુને અનુરૂપ મુદ્દાઓ નક્કી કરી પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે.
મુલાકાત પદ્ધતિ :
પ્રસ્તુત સંશોધન પત્રમાં માહિતી મેળવવા માટે નગરપાલિકાનાં અધિકારીઓની મુલાકાત લઈને સંશોધન પત્ર ને લગતી માહિતી એકત્રિત કરવામાં આવી હતી જેમાં ગોંડલ શહેરની કુલ વસ્તી હાલ ૧૩૧૫૦૦ છે, જેમને એકાંતરે ૪૫ મિનીટ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ પાણીના સ્રોત વેરી તળાવ, આશાપુરા ડેમ અને સેતુ ડેમ છે. આ પીવાનાં પાણીને ફિલ્ટર કરવા ૩ ફિલ્ટર પ્લાન છે, જેમાં ક્લોરીન અને સેડીમેન્ટેશન પ્રકારનાં પ્લાન્ટ છે. આ ફિલ્ટર પ્લાન્ટની કેપિસિટીમાં ઉમવાડાના ફિલ્ટર પ્લાન્ટની કેપેસિટી ૧૮MLD, આશાપુરા ૩ MLD અને બાલાશ્રમ ૩ MLD કેપેસિટી છે ગોંડલ શહેરમાં વ્યક્તિ દીઠ ૧૪૦ LPCD પાણી આપવામાં આવે છે. વિતરણ થતાં પાણીની ગુણવત્તા મહિનામાં ૩ વાર ચકાસવામાં આવે છે.
ગોંડલ શહેરની દૈનીક પાણીની જરૂરિયાત ૧.૮૪ કરોડ લીટર છે તેની સામે ગોંડલ શહેરમાં નગરપાલિકા દ્વરા ૨.૪ કરોડ લીટર પાણી ફિલ્ટર કરવામાં આવે છે, એટલે કે ગોંડલ શહેરમાં સ્વચ્છ પાણી માટે આગોતરું આયોજન કરેલ છે તેથી સ્વચ્છ પાણીની ઉપલબ્ધી અંગે કોઈ પ્રશ્ન નથી.
જયારે ગોંડલ શહેરમાં શૌચાલયની સુવિધા બાબતે પૂછવામાં આવ્યું ત્યારે જાણવામાં આવ્યું કે ગોંડલ શહેરમાં એક પણ ઘર શૌચાલય વગર નથી, જો કોઈ ઘરમાં શૌચાલય ન હોય તો નગરપાલિકા સ્વચ્છ ભારત મિશન (SBM ૨.૦) અંતર્ગત બનાવી આપે છે. આ ઉપરાંત ગોંડલ શહેરમાં જાહેર શૌચાલય કુલ ૮ જેટલા છે. અને ગોંડલ શહેરના દરેક વિસ્તારમાં ડ્રેનેજની વ્યવસ્થા છે. જયારે અધિકારીઓને મુલાકાત દરમ્યાન પૂછવામાં આવ્યું કે ગોંડલ શહેરને સ્વચ્છતા માટે કોઈ એવોર્ડ કે સર્ટીફીકેટ મળેલ છે તો જાણવા મળ્યું કે ગોંડલ નગરપાલિકાને ૩ સ્ટાર રેટિંગ અને ODF++ સર્ટીફીકેટ મળેલા છે. આ ઉપરાંત ગોંડલ શહેરમાં ૩ સ્લમ એરિયા છે, જેમાં ભગવતપરા નદી કાંઠે, ઉમવાળા ચોકડી પાસે અને આશાપુરા ચોકડી પાસે. આ સ્લમ એરિયામાં પીવાના પાણી તેમજ શૌચાલયની સુવિધા ગોંડલ નગરપાલિકા દ્વારા કરી આપેલ છે.
નિરીક્ષણ પદ્ધતિ :
ગોંડલ શહેરના સ્લમ એરિયામાં જેમાં દેવીપુજક અને બાવાજી જ્ઞાતિનાં લોકો રહે છે. જેમાં બાવાજીના ૭-૮ મકાન છે. અહી નગરપાલિકા દ્વારા એકાંતરા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, પાણી ગાળીને પીવાનાં વપરાશમાં લઈ શકાય તેવું જોવા મળે છે, ક્યારેક વચ્ચે લાઈન તૂટી જવાનાં કે ચોમાસાના વરસાદને કારણે ડહોળું પાણી આવતું હોય છે, બાકી આ સિવાય નગરપાલિકા દ્વારા આપવામાં આવતું એકાંતરા ૪૫ મીનીટ પાણી પીવામાં લઈ શકાય તેમ છે.
શૌચાલયની સુવિધામાં આ સ્લમ એરિયામાં નાના મોટા દરેક લોકો ખુલ્લામાં શૌચ જાય છે, અહી નગરપાલિકા દ્વારા શૌચાલય બનાવી આપ્યા છે, પરંતુ આ શૌચાલય લોકો ઉપયોગ કરતા નથી, આ શૌચાલયના કચરાની યોગ્ય નિકાલની વ્યવસ્થાનાં અભાવે તેનો ઉપયોગ થતો નથી. નગરપાલિકા દ્વારા શૌચાલયની બાજુમાં જ ખાડો બનાવીને તેના કચરાના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે.
આમ નગરપાલિકા દ્વારા ગોંડલનાં સ્લમ એરિયાના વિસ્તારને શૌચાલયની સુવિધા પૂરી પાડવામાં આવી છે, પરતું તેના નિકાલની અયોગ્ય વ્યવસ્થાને કારણે તેનો ઉપયોગ થતો નથી અને સ્લમ એરિયામાં નાના મોટા વૃધ્ધો બાળકો, સ્ત્રીઓએ દરેકને ખુલ્લામાં શૌચ જવા મજબુર છે. અહી સ્ત્રીઓની ગરિમા જળવાતી નથી તેમજ ખુલ્લામાં શૌચ જવાનાં કારણે સ્ત્રીઓને ગંભીર બીમારીઓનો ભોગ બને છે. શૌચાલયનો પ્રકાર (પીટ) ખાડાવાળો હોવાથી આ પ્રશ્ન ઉભો થયો છે.
ગૌણ માહિતી: પ્રસ્તુત સંશોધન અભ્યાસમાં ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ માટે મુખ્યત્વે ગોંડલ નગરપાલિકા કચેરી, આ ઉપરાંત અભ્યાસ સબંધિત લેખો, વર્તમાન પત્રો, સંશોધન પત્રો, વેબસાઈટ વગેરેનો ઉપયોગ કરવામાં આવેલ છે.
માહિતીનું વિશ્લેષણ :
પ્રસ્તુત સંશોધન પત્રમાં પ્રાથમિક માહિતી તૈયાર કરવા માટે એક પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી હતી, જેમાં ૧૩ જેટલા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોમાં હા કે ના જેવા પ્રશ્નો તેમજ બહુવિકલ્પીય પ્રશ્નો તૈયાર કરીને માહિતી એકઠી કરવામાં આવી છે, જેનું વિશ્લેષણ નીચે મુજબ છે.
૧) પીવાનું પાણી દરરોજ આવે છે કે નહિ તે દર્શાવતું કોષ્ટક નંબર ૧
ક્રમ | પાણી દરરોજ આવે છે કે નહિ? | ઉત્તરદાતા ઓની સંખ્યા | ટકાવારી |
૧ | હા | ૨૩ | ૨૩% |
૨ | ના | ૭૭ | ૭૭% |
કુલ | ૧૦૦ | ૧૦૦ |

૨૩% ઉત્તરદાતા એ હા માં જવાબ આપ્યો છે, જયારે ૭૭% ઉત્તરદાતાએ ના માં જવાબ આપેલ છે.
૨) ઉપલબ્ધ પાણી પીવા લાયક હોય છે કે નહિ તે દર્શાવતું કોષ્ટક નંબર ૨
ક્રમ | ઉપલબ્ધ પાણી પીવા લાયક હોય છે કે નહિ? | ઉત્તરદાતાઓની સંખ્યા | ટકાવારી |
૧ | હા | ૬૧ | ૬૧% |
૨ | ના | ૩૯ | ૩૯% |
કુલ | ૧૦૦ | ૧૦૦ |

૬૧% ઉત્તરદાતાએ હા પડી હતી પીવા લાયક હોય છે, જયારે ૩૯% ઉત્તરદાતાએ ના પાડી હતી.
૩) ઘરમાં પાણી શુદ્ધ કરવા નીચેના પૈકી કોઈ ઉપાય કરો છો તે દર્શાવતું કોષ્ટક નંબર ૩
ક્રમ | પાણી શુધ્ધ કરવા વપરાતા ઉપકરણો | ઉત્તરદાતાઓની સંખ્યા | ટકાવારી |
૧ | R.O કે અન્ય ઉપકરણ | ૫૧ | ૫૧% |
૨ | પાણી ઉકાળીને | ૧૪ | ૧૪% |
૩ | ગરણું | ૩૨ | ૩૨% |
૪ | ફટકડી | ૦૩ | ૦૩% |
કુલ | ૧૦૦ | ૧૦૦ |

૫૧% ઉત્તરદાતા આર.ઓ. અથવા અન્ય ઉપકરણનો,૧૪% ઉત્તરદાતા પાણી ઉકાળીને, ૩૨% ઉત્તરદાતા ગરણું તથા ૦૩% ઉત્તરદાતા ફટકડીનો ઉપયોગ કરે છે.
૪) પાણીની ગુણવત્તાની ચકાસણી કરાવેલ છે કે નહિ તે દર્શાવતું કોષ્ટક નંબર ૪
ક્રમ | પાણીની ગુણવત્તા ચકાસણી કરાવેલ છે કે નહિ | ઉત્તરદાતાઓની સંખ્યા | ટકાવારી |
૧ | હા | ૩૩ | ૩૩% |
૨ | ના | ૬૭ | ૬૭% |
કુલ | ૧૦૦ | ૧૦૦ |

૬૭% ઉત્તરદાતાએ ના પાડી હતી જયારે ૩૩% ઉત્તરદાતાએ હા પાડી છે.
૫) નીચેનાં પૈકી પાણીના ક્યા સ્રોતથી પાણી મેળવો છો તે દર્શાવતું કોષ્ટક
કોષ્ટક નંબર ૫
ક્રમ | પાણીના સ્રોત | ઉત્તરદાતાઓની સંખ્યા | ટકાવારી |
૧ | બોર | ૬૨ | ૬૨% |
૨ | નગરપાલિકાનું પાણી | ૩૫ | ૩૫% |
૩ | જાહેર ડંકી | 03 | ૦૩% |
૪ | કુવા | 00 | ૦૦ |
૫ | અન્ય | 00 | 00 |
કુલ | ૧૦૦ | ૧૦૦ |

૬૨% ઉત્તરદાતા બોરનું પાણી પીવે છે, જયારે ૩૫% ઉત્તરદાતા નગરપાલિકાનું પાણી પીવે છે અને ૦૩% ઉત્તરદાતા જાહેર ડંકીનું પાણી પીવે છે.
૬) બોરનું પાણી પીવામાં વપરાશ કરો છો કે નહિ તે દર્શાવતું કોષ્ટક નંબર ૬
ક્રમ | બોરનું પાણી પીવામાં વપરાશ કરે છે કે નહિ | ઉત્તરદાતાઓની સંખ્યા | ટકાવારી |
૧ | હા | ૭૯ | ૭૯% |
૨ | ના | ૨૧ | ૨૧% |
કુલ | ૧૦૦ | ૧૦૦ |

૭૯% ઉત્તરદાતાએ હા પડી જયારે ૨૧% ઉત્તરદાતાએ ના પાડી છે.
૭) વર્ષ દરમ્યાન ઘરમાં પાણીને લગતી બીમારી થયેલ છે કે નહિ તે દર્શાવતું કોષ્ટક
કોષ્ટક નંબર ૭
ક્રમ | બીમારી થયેલ છે કે નહિ | ઉત્તરદાતાઓની સંખ્યા | ટકાવારી |
૧ | હા | ૨૦ | ૨૦% |
૨ | ના | ૮૦ | ૮૦% |
કુલ | ૧૦૦ | ૧૦૦ |

૭.૧ વર્ષ દરમ્યાન કઈ બીમારી થયેલ છે તે દર્શાવતું કોષ્ટક નંબર ૭.૧
ક્રમ | બીમારી | ઉત્તરદાતાઓની સંખ્યા | ટકાવારી |
૧ | ઝાડા ઉલટી | ૧૦ | ૫૦% |
૨ | કમળો | ૦૩ | ૧૫% |
૩ | કોલેરા | ૦૪ | ૨૦% |
૪ | મરડો | ૦૩ | ૧૫% |
૫ | તાઈફોડ | 00 | 00 |
૬ | આંતરડાનું ઇન્ફેકશન | 00 | 00 |
કુલ | ૨૦ | ૧૦૦ |

જેના જવાબમાં ૮૦% ઉત્તરદાતાએ ના પાડી છે, જયારે ૨૦% ઉત્તરદાતાએ હા પાડી છે, જેમાં હા પાડી એ ઉત્તરદાતા માંથી ૫૦% ઉત્તરદાતાને ઝાડા ઉલટી, ૧૫% ઉત્તરદાતાને કમળો, ૨૦% ઉત્તરદાતાને કોલેરા અને ૧૫% ઉત્તરદાતાને મરડો થયેલ.
૮) પીવાનું પાણી મંગાવે છે કે નહિ તે દર્શાવતું કોષ્ટક નંબર ૮
ક્રમ | પાણી મંગાવે છે કે નહિ | ઉત્તરદાતાઓની સંખ્યા | ટકાવારી |
૧ | હા | ૧૮ | ૧૮% |
૨ | ના | ૮૨ | ૮૨% |
કુલ | ૧૦૦ | ૧૦૦ |

તેના જવાબમાં ૮૨% ઉત્તરદાતાએ ના પાડી છે,જયારે ૧૮% ઉત્તરદાતાએ હા પાડી છે.
૯) ઘરમાં શૌચાલયની સુવિધા છે?
૧૦૦% ઉત્તરદાતાએ હા પાડી છે.
૧૦) ઘરના શૌચાલયનો વપરાશ કરે છે કે નહિ?
તેના જવાબમાં ૧૦૦% ઉત્તરદાતાએ હા પાડી હતી.
૧૧) શૌચાલય માટે સરકારી સહાય મળી છે કે નહિ તે દર્શાવતું કોષ્ટક નંબર ૧૧
ક્રમ | સહાય મળી છે કે નહિ | ઉત્તરદાતાઓની સંખ્યા | ટકાવારી |
૧ | હા | ૦૭ | ૦૭% |
૨ | ના | ૯૩ | ૯૩% |
કુલ | ૧૦૦ | ૧૦૦ |

જેના જવાબમાં ૯૩% ઉત્તરદાતાએ ના પાડી હતી જયારે ૭% ઉત્તરદાતાએ હા પાડી હતી.
૧૨) શૌચાલયનો વપરાશ પોતાના ઘરના લોકો પુરતો જ કરો છો
તેના જવાબમાં ૧૦૦% ઉત્તરદાતાએ હા પાડી હતી.
૧૩) શૌચાલય કેવા પ્રકારનું છે?
તેના જવાબમાં ૧૦૦% ઉત્તરદાતાએ સેપ્ટિક ટેંકવાળું હતું.
નમૂના પસંદગી : પ્રસ્તુત સંશોધન અભ્યાસ માટે ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ૧૦૦ કુટુંબની પસંદગી બિન સંભાવ્ય સહેતુક નમૂના પસંદગીનો ઉપયોગ કરેલ છે.
સંશોધન અભ્યાસનું વ્યાપ વિશ્વ અને ક્ષેત્ર મર્યાદા:
પ્રસ્તુત સંશોધન પત્રમાં ગોંડલ શહેર એ વ્યાપ વિશ્વ તરીકે લીધેલ છે. પંરતુ સમયના અભાવે અને ખર્ચના અભાવે ૧૦૦ જેટલા જ નમૂના તરીકે પસંદ કરેલ છે.
સંશોધનનું મહત્ત્વ :
પ્રસ્તુત સંશોધન પત્રના આધારે એ ખ્યાલ આવી શકે કે UNDP ના SDGs -૬ (સ્વચ્છ પીવાનું પાણી અને સ્વચ્છતા )અંતર્ગત
સરકાર દ્વારા આ ઉદેશ્યને પ્રાપ્ત કરવા કઈ કઈ યોજનાઓ કાર્યરત છે, આ યોજના અંતર્ગત કેટલું કામ થયેલ છે, હજુ વધુ કામ એ
સંદર્ભે કરી શકાય એમ છે અને આ લાભો લોકો સુધી પહોચ્યાં છે કે કેમ તે જાણી શકાય છે.
સાથે સાથે લોકોએ પોતાની રીતે શું વ્યવસ્થા કરી છે તે પણ જાણી શકાય.
સંશોધનની મર્યાદા :
૧) પ્રસ્તુત સંશોધન પત્રમાં સમય તેમજ (ખર્ચ)ની બાબત પણ સંશોધનની મર્યાદા બને છે, આથી સમગ્ર વ્યાપ વિશ્વમાંથી ૧૦૦ જેટલા જ નમૂનાની પસંદગી કરેલ છે અને તેના આધારે આ સંશોધન પત્ર તૈયાર કરેલ છે, નમૂના પસંદગી પદ્ધતિની મર્યાદા પણ આ શોધપત્રની મર્યાદા બને છે.
૨) આંકડાઓની પર્યાપ્તતા તથા વિશ્વનીયતાના સંદર્ભમાં પણ મર્યાદા બને છે.
૩) પસંદ કરાયેલા નમૂનાનાં એકમ પાસેથી માહિતી મેળવતી વખતે તેઓની ઉદાસીનતા, અજ્ઞાનતા અને અનિયમિતતા પણ આ અભ્યાસની મર્યાદા બને છે.
તારણો અને સૂચનો :
પ્રસ્તુત સંશોધન પત્રમાં જે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો તેમાં પ્રશ્નાવલી, મુલાકાત, નિરીક્ષણ અને ગૌણ માહિતીના સ્રોતોને આધારે માહિતી મેળવીને પરિકલ્પનાની ચકાસણી કરેલ છે. પ્રથમ પરિકલ્પના હતી કે ગોંડલ શહેરને પીવાનું પુરતું પાણી મળતું નથી. મેળવેલ માહિતીના આધારે આ પરિકલ્પના ખોટી સાબિત થાય છે, કેમ કે ૭૭% ઉત્તરદાતાઓએ જણાવ્યું છે કે એકાંતરે પાણી આવે છે અને અધિકારીઓએ પણ તેમની મુલાકાત દરમ્યાન જણાવ્યું કે એકાંતરે પાણી પૂરું પાડવામાં આવે છે અને ૧૪૦ LPCD પૂરું પાડવામાં આવે છે જે દૈનિક જરૂરિયાત કરતાં વધુ છે. કેમકે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય મુજબ શહેરી પાણી પુરવઠા માટે માપદંડ તરીકે ૧૩૫ લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ સૂચવવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારો માટે જળ જીવન મિશન હેઠળ ૫૫ LPCDની લઘુત્તમ સેવા ડિલિવરી નક્કી કરવામાં આવી છે. જયારે ગોંડલ શહેર દ્વારા ૨ દિવસ માટે ફક્ત ૧૪૦ LPCD પાણી જથ્થો પૂરો પાડવામાં આવે છે.
બીજી પરિકલ્પના એ હતી કે ગોંડલ શહેરમાં સ્વચ્છતાની સુવિધા નથી. ૧૦૦% ઉત્તરદાતાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતુંકે તેમના ઘરે શૌચાલયની સુવિધા છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, અને ગોંડલ નગરપાલિકાને સ્વચ્છતા માટે ૩ સ્ટાર રેટિંગ અને ODF++ જેવા એવોર્ડ પણ મળેલા છે. તેથી આ પરિકલ્પના પણ ખોટી સાબિત થાય છે.
પરતું સ્લમ વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. ત્યાં બધા લોકો ખુલ્લામાં શૌચ જતાં જોવા મળે છે, ત્યાં ખાડાવાળા શૌચાલય નગરપાલિકા દ્વારા તૈયાર કરી દેવામાં આવેલ છે અને તેનો યોગ્ય નિકાલનો અભાવ પણ જોવા મળે છે.
પ્રસ્તુત સંશોધનપત્રને આધારે એ કહી શકાય કે ગોંડલ શહેરમાં પીવાના સ્વચ્છ પાણી અંગે આગોતરા આયોજનને કારણે ભવિષ્યમાં પણ ચિંતા ન રહે તે અંગે અત્યારથી નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરેલ છે.
ગોંડલ શહેરમાં સ્વચ્છતા બાબતે ખુબ સારું કામ થયેલું જોવા મળે છે, પરંતુ શહેરના સ્લમ એરિયામાં શૌચાલય અને સ્વચ્છતા બાબતે હજુ કામ કરવું પડે તેમ છે, ગોંડલ નગરપાલિકા દ્વારા આવા સ્લમ એરિયામાં ખાડાવાળા શૌચાલયને બદલે સેપ્ટિક ટેંક વાળા શૌચાલય બનાવી આપવા જોઈએ જેથી તે લોકો ખુલ્લામાં શૌચ જવા મજબુર ન થાય.
ભાવી સંશોધનોનો અવકાશ :-
પ્રસ્તુત સંશોધન પત્રમાં UNDP SDGs -૬ પીવાનું સ્વચ્છ પાણી અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને ગોંડલ શહેરને જ ધ્યાનમાં રાખીને અભ્યાસ કરેલ છે, આ અભ્યાસ જીલ્લા તેમજ રાજ્ય અને દેશને ધ્યાનમાં રાખીને કરી શકાય. આ ઉપરાંત UNDPના અન્ય ઉદેશોને ધ્યાનમાં રાખીને શહેર, તાલુકા, જીલ્લા, રાજ્ય તેમજ દેશને ધ્યાનમાં રાખીને અભ્યાસ હાથ ધરી શકાય .
સંદર્ભ સૂચી :-
1) રામ, કે.આર. (૨૦૧૫), ‘problems and remedies of overexploitation of groundwater: an analytical study in the context of saurashtra region’
2) Nileena Suresh (2024), ‘Access to toilets in India.’ Published on Data for India. Retrieved from https://www.dataforindia.com/sanitation/ [Online Resource].
3) https://www.dataforindia.com/access-to-toilets-in-india/
4) https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1604871
5) https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2002726
[1] બક્ષી, બકુલ (૧૯૯૧) સંસ્કૃતિનો સૂર્યોદય, આર.આર. શેઠની કંપની.
[2] એમ. દિનેશકુમાર,(૧૯૯૭) ભૂગર્ભજળ સંપત્તિનું વ્યવસ્થાપન અને ભવિષ્યના વિકલ્પો, વિકસત નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલોપમેન્ટ, અમદાવાદ.
[3] Marcus, Moench,(1994) Approaches to ground water management to control or enable? Economic & political weekly, sept-24.
[4] Khagram and clark (2003) from the Environment and human security to sustainable security & development journal of human development, vol.-4 no.2, July 2003, carfax publication.
[5] શાહ હસમુખ,(૨૦૦૧) પર્યાવરણની પરિસ્થિતિ – ગુજરાત, ગુજરાત ઇકોલોજી કમિશન, વડોદરા.